8.01.2023

પ્રોપર્ટી/ કોઈ પણ મિલકત ખરીદી રહ્યા હો તો આ 17 નિયમો ના ભૂલતા, ખેતીની જમીનમાં તો રાખજો ખાસ સાવચેતી





૧) ખેતીની જમીન ખરીદતી વખતે સબંધિત જમીનના નિયમોનુસાર ગામ નમુના નં. ૬, ૭/૧૨, અને ગા.નં.૮-અ ની પ્રમાણિત નકલસબંધિત મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાંથી મેળવવી.

(૨) કોઈપણ બિનખેડુત વ્યક્તિ ગણોત અધિનિયમની કલમ-૬૩ હેઠળ ખેતીની જમીન ધારણ કરવાને લાયક નથી તેઓએ કલેક્ટરની પરવાનગી સિવાય ખેતી વિષયક જમીન ખરીદવી નહી

(૩) કોઈપણ બિનખેડુત વ્યક્તિ વીલ યાને વસીયતનામાથી ખેતીની જમીન પ્રાપ્ત કરે તો સુપ્રિમકોર્ટના ચુકાદા મુજબ ગેરકાયદેસર છે.

(૪) ખેતીની જમીનની ખરીદીના પ્રસંગે સબંધિત સર્વે નંબરની પ્રમોલગેશનની એન્ટ્રીથી છેવટ સુધીની ઉત્તરોત્તર ગા.ન.નં.૬ની પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખો.

(૫) ગા.ન. નં.૭/૧૨ના બીજા હક્કમાં નિયંત્રિત સત્તા પ્રકારની (નવી શરત) જમીન હશે અથવા તો ‘બિનખેતી પ્રિમીયમને પાત્ર’ તેવી નોંધ હશે. આવા પ્રસંગે કલેક્ટરની પૂર્વમંજૂરી મેળવી બિનખેતી ઉપયોગ કરતા પહેલા સરકારમાં પ્રિમીયમની રકમ અવશ્યપણે જમા કરાવો. ખેતીની જમીન જૂની શરત હોય તો ખેડૂત ખાતેદાર ખરીદી શકશે.

(૬) ગા.ન.નં.૭/૧૨ ના બીજા હક્કમાં મંડળી કે બેંકની કે અન્ય સંસ્થાના બોજાના નોંધ હોય તો જે તે સંસ્થા કે બેંકમાં બોજો ભરપાઈ કરાવી બોજામુક્તિની નોંધ અવશ્યપણે પડાવો.

(૭) બિનખેતી વિષયક હેતુ માટે સક્ષમ અધિકારી પાસેથી એટલે કે શહેરી વિસ્તારો કે ગ્રામ્ય વિસ્તારો માટે કલેક્ટર પાસેથી એન.એ.ની પરવાનગી બિનખેતી વિષયક ધારો નક્કી કરવાના ભાગરૂપે મેળવી છે કે કેમ ? તેની ખાત્રી કરો.

(૮) મહેસૂલ વિભાગના પરિપત્ર પ્રમાણે ફાયનલ ટી.પી.માં બિનખેતીની પરવાનગી મેળવવાની જરૂર નથી. ફક્ત ઔપચારિકતા ખાતર બિનખેતી ધારો નક્કી કરાવવાનો છે.

(૯) ખેતીની જમીન બિનખેતી થયેલ હોય તો અધિકૃત અધિકારી પાસેથી બિનખેતી હુકમની, લેઆઉટ પ્લાનની તથા નમુના ‘એમ’મા સનદની ખરી નકલ મેળવવાનો આગ્રહ રાખવો તેમજ લેઆઉટમાં જણાવેલ જગ્યાએ જ પ્લોટ છે કે કેમ ? તેની ખાત્રી કરો.

(૧૦) પૂર્વ યુ.એલ.સી. (શહેરી જમીન ટોચ મર્યાદા ધારો) વિસ્તારમાં જમીન આવેલ હોય તો આવી જમીન શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલ છે કે કેમ ? અને સરકાર હસ્તક જમીનનો કબજો લેવાયેલ છે કે કેમ ? તેમજ હાલ કોઈ લીટીગેશન કોઈ કોર્ટમાં ચાલે છે કે કેમ ? તેની ખાત્રી કરો. (હાલ ફક્ત વ્યક્તિગત રહેણાંકની જમીન નિયમિત કરતો કાયદો પસાર થયેલ છે)

(૧૧) જો મિલ્કત સીટી સર્વે વિસ્તારમાં આવેલી હોય તો સીટી સર્વે કચેરીએથી પ્રોપર્ટીકાર્ડની પ્રમાણિત નકલ મેળવવાનો અવશ્ય આગ્રહ રાખો તેમજ ઉત્તરોત્તર મિલ્કત રજીસ્ટરના ઉતારાથી ખાત્રી કર્યા બાદ જ મિલ્કતના ટાઈટલની ખરાઈ કર્યા બાદ જ જમીન ખરીદ કરવી.

(૧૨) ટી.પી. સ્કીમ હેઠળની કે શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારની જમીન હોય તો કયા ઝોનમાં જમીન સ્થિત થઈ છે તે અંગે કોર્પોરેશન કે સબંધિત શહેરી જમીન સત્તા મંડળની કચેરીએથી ખાત્રી કરો.

(૧૩) વીડીની (Grazing – ઘાસચારાની જમીન) જમીનના પ્રસંગે જાગીર ઉપાર્જન ધારા હેઠળ વીડીની જમીન ખેડવાણ કરવા કલેક્ટરની મંજૂરી મેળવી છે કે કેમ ? તેની ખાત્રી કરો અને મંજૂરીના હુકમની પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખવો.

(૧૪) વીડીની જમીનનું વેચાણ કરવાનું હોય તો જાગીર ઉપાર્જન ધારા હેઠળ વીડીની જમીન વેચાણ કરવા અધિકૃત અધિકારીની મંજૂરી મેળવી છે કે કેમ ? તેની ખાત્રી કરો અને આવી મંજૂરી અપાયેલ હોય તો પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખો

(૧૫) ખેતીની જમીનના પ્રસંગે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ અધિકતમ ક્ષેત્રફળ માટે કોઈ કેસ ચાલેલ છે કે કેમ ? જમીન ફાજલ થયેલ છે કે કેમ ? તેમજ ફાજલ જમીનનો કબજો સરકાર હસ્તક લેવાયેલ છે કે કેમ ? તેમજ કોઈ કોર્ટમાં લીટીગેશન ચાલે છે કે કેમ ? કોઈ મનાઈ હુકમ છે કે કેમ ? તે સઘળી બાબતે અવશ્ય ખાત્રી કરવાનું રાખો.

(૧૬) ટોચ મર્યાદા હેઠળ ફાજલ થયેલ જમીન અને ફાળવેલ જમીન કાયમી ધોરણે બિન તબદીલીને પાત્ર છે એટલે આ જમીનની તબદીલ ઉપર કાયમી નિયંત્રણ છે.

(૧૭) ટી.પી. સ્કીમ હેઠળ આવરી લેવાયેલ જમીન હોય તો મુળખંડ તથા અંતિમ ખંડની વિગત તેમજ નમુના એફ ની પ્રમાણિત નકલ તેમજ સ્કેચની પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખો



 - લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

- નવી શરત અથવા નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોનું શુધ્ધબુધ્ધિપૂર્વકના  વેચાણના કિસ્સામાં પ્રિમયમ વસુલ કરી મંજૂરી આપવાની જોગવાઈઆ






જમીન મહેસૂલ વ્યવસ્થાપનમાં જમીનનો સત્તા પ્રકાર (Land Tenure) મહત્વનો છે. ઘણીવાર જનમાનસમાં નવી શરત, જૂની શરત અંગે દ્વિધા હોય છે. જમીનનો સત્તા પ્રકાર જુદા જુદા જમીનને લગતા કાયદાને આધીન છે. દા.ત. ગણોતધારા હેઠળ મળેલ જમીન કલમ-૪૩ હેઠળ નવી અને અવિભાજ્ય શરત હેઠળની હોય છે તે જ રીતે સરકારે સોંથણીમાં જમીન આપેલ હોય તો નવી શરત, જમીન મહેસૂલ અધિનિયમની 'કલમ-૭૩ એએ' તે આદિવાસી અનુજાતિએ ધારણ કરેલ જમીન ઉપર નિયંત્રણ, ખેત જમીન ટોચ મર્યાદા હેઠળ આપેલ જમીન અને નવી અને અવિભાજ્ય શરત તે જ ધોરણ ભુદાન હેઠળ અપાયેલ જમીન તેમજ જુદા જુદા સત્તા પ્રકાર નાબુદ કરવામાં આવ્યા. જેમાં ઈનામ, જાગીર દેવસ્થાન, પસાયતા વિગેરે આમ નવી અને અવિભાજ્ય શરત એટલે કે કલેક્ટરની પૂર્વ પરવાનગી સિવાય જમીન તબદીલ ન થઈ શકે. જ્યારે જૂની શરત એટલે કે સરકારના કોઈપણ નિયંત્રણ વગરની જે જમીનની (freehold) તબદીલી જમીન ધારકની ઈચ્છા મુજબ કોઈપણ પ્રકારના નિયંત્રણ વગર તબદીલ / વેચાણ થઈ શકે.

ઉપર મુજબ જણાવ્યા મુજબની નવી શરતના નિયંત્રણોવાળી જમીનની તબદીલી / વેચાણ / હેતુફેર બિનખેતીના પ્રસંગોએ રાજ્ય સરકારે જે ધોરણો નક્કી કર્યા છે. (અપવાદ ભુદાન તેમજ જમીન ટોચ મર્યાદા હેઠળ આપેલ જમીન) તે મુજબ પ્રિમયમની રકમ વસુલ લઈને કલેક્ટર મંજૂરી આપે છે. રાજ્ય સરકારે નવી શરતની જમીનોમાં ખાતેદાર કબજો ધારણ કરેલ હોય તે તારીખથી ૧૫ વર્ષ થાય તો આપોઆપ ફક્ત ખેતી વિષયક હેતુ માટે ગ્રામ્ય વિસ્તારની જમીનો પ્રિમયમ ભર્યા વગર જૂની શરતમાં ફેરવવાની છે અને આ અંગે મામલતદારે સ્વમેળે હુકમો કરી, ખાતેદારને જાણ કરવાની પણ જોગવાઈ છે. ઘણી જગ્યાએ શરૃઆતથી જમીન જૂની શરતમાં ચાલતી હોય. પરંતુ જ્યારે બિનખેતીની પરવાનગી માંગવામાં આવે, ત્યારે પાછળથી ખ્યાલ આવે કે, આ જમીન નવી શરતની ગણવાપાત્ર છે અને તેના ઉપર પ્રિમયમ વસુલ કરવાપાત્ર છે. પરંતુ તે પહેલાં ખેડુત ખાતેદાર વચ્ચે જમીનોની તબદીલ કરી, વેચાણ વ્યવહાર તરીકે ગામ દફતરે નોંધ પ્રમાણિત કરવામાં આવી હોય તો આવા કિસ્સામાં શુધ્ધબુધ્ધિપૂર્વકના વેચાણ (Bonafide Sale) ગણીને પ્રિમયમ વસુલ કરી, સબંધિત હેતુ માટે ખેતીથી ખેતી અથવા ખેતીથી બિનખેતીના હેતુ માટે પરવાનગી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

શુધ્ધબુધ્ધિપૂર્વકના વેચાણના (Bonafid Purchaser) કિસ્સાની મંજૂરી અંગેની જોગવાઈઓ મહેસૂલ વિભાગના તા.૧૩-૩-૨૦૧૭ના પરિપત્રક્રમાંક ઃ- ગણત / ૩૦૧૬ / ૨૧૩૫ ઝ અન્વયે મંજૂરી આપવાની જોગવાઈ કરી છે. આવા સંખ્યાબંધ કિસ્સાઓ ઉપર વર્ણવેલ સ્થિતિને કારણે ઉપસ્થિત થતા અને ગુજરાત હાઈકોર્ટમાં પણ કેસો થયેલ, જેમાં શુધ્ધબુધ્ધિપૂર્વકનો જમીન ખરીદનાર જવાબદાર ન હતો, કારણ કે રેકર્ડ ઉપર જે સત્તા પ્રકાર નોંધાયેલ તેના આધારે જમીન જૂની શરતની ગણીને ખરીદ કરેલ જેથી આવા કિસ્સાઓમાં ગુજરાત હાઈકોર્ટ પણ Bonafide Purchaser ગણી પ્રિમયમની રકમ વસુલ કરીને પરવાનગી આપવાના નિર્દેષ્ઠો કરેલ છે. સિવાય કે જે કિસ્સામાં નવી શરતનું નિયંત્રણ પણ હોય અને બિનખેડૂતની તરફેણમાં વેચાણ થયેલ હોય તો તેવા કિસ્સામાં ગણોતધારાની કલમ - ૮૪ સી હેઠળ કાર્યવાહી કરવાની થાય. તેમાં પણ રાજ્ય સરકારે કાયદામાં સુધારો કરીને ૨૦૧૫ પહેલાં કોઈ ખેડૂતે બિનખેડૂતને વેચાણ કરેલ હોય અને છેલ્લો ખરીદનાર સાચો ખેડૂત ખાતેદાર હોય તો તેવા કિસ્સાઓમાં મામલતદાર સમક્ષ અરજી કરીને રાજ્ય સરકારે જે જંત્રી મુજબની રકમ નક્કી કરી છે તે વસુલ કરીને આ વેચાણો નિયમબધ્ધ થાય છે. ઘણીવાર એક સત્તાધિકારી દ્વારા નવી શરતના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા હોય અને અપેલેટ અધિકારી અથવા કોર્ટ દ્વારા અપીલમાં નિર્ણય કરીને ફરીથી નવી શરતના નિયંત્રણો લાગુ કરવાના નિર્ણયો કરવામાં આવે છે. દરમ્યાનમાં આવી જમીનોનું વેચાણ થયેલ હોય તો તેવા કિસ્સામાં પણ Bonafide Purchaser ગણવાના થાય અને નિયમોનુસાર પ્રવર્તમાન નિતી મુજબ પ્રિમયમની રકમ વસુલ લઈ વેચાણ વ્યવહાર નિયમબધ્ધ કરવાના થાય છે.

આવી જ રીતે ૨૯-૧૨-૧૯૬૫ પછી માલીકને ઘરખેડમાં આપવામાં આવેલ જમીનમાં નવી શરત લખવામાં આવેલ ન હોય અને ૭/૧૨માં લખવાનું પણ રહી ગયેલ હોય તો તેવા કિસ્સાઓમાં જે ઉત્તરોત્તર વેચાણ થયેલ હોય તો વેચાણ વ્યવહાર નિયમબધ્ધ કરી શકાય છે. આજ રીતે ગણોત કાયદામાં જે ૧/૮/૧૯૫૬ કે ત્યારપછી ગણોતીયાની તરફેણમાં જમીન માલીક દ્વારા કરવામાં આવેલ તબદીલી નિયંત્રિત સત્તા પ્રકારની હોવાથી પરવાનગી લેવાને પાત્ર છે. પરંતુ ૭/૧૨માં નવી શરતનો ઉલ્લેખ ન હોય અને વેચાણ થયેલ હોય તો તેને પણ Bonafide Purchaser ગણી શકાય છે. આવી રીતે જેમ ઉપર જણાવ્યું તેમ મુંબઈ પરચુરણ ઈનામી નાબુદી અધિનિયમ, જાગીર એબોલીશન એક્ટ, તાલુકદારી એબોલીશન એક્ટ, દેવસ્થાન નાબુદી ધારો વિગેરે જુદા જુદા કાયદાઓ હેઠળ પ્રાપ્ત થયેલ જમીનોમાં, જ્યાં નવી શરતનો ઉલ્લેખ કરવાનો રહી ગયેલ હોય અને તેના કારણે વર્ષોથી ૭/૧૨માં નવી શરત કે મર્યાદિત સત્તા પ્રકાર લખેલ હોતો નથી અને આવુ રેકર્ડ વર્ષોથી પ્રમોલગેટ પણ થયેલ હોય છે. પરંતુ જ્યારે આવી જમીનો બિનખેતીમાં ફેરવવાના પ્રસંગ આવે ત્યારે ૧૯૫૧થી તમામ વ્યવહારો ચકાસતાં એમ માલુમ પડે કે આ જમીન નવી શરતની ગણવાપાત્ર છે અને આ પહેલાં ઉત્તરોત્તર ખેતીની જમીનના વેચાણ વ્યવહાર પણ થયેલ હોય છે અને નોંધો પ્રમાણીત થયેલ હોય છે એટલે આવી જમીનો Bonafide Purchaser ગણીને વેચાણ વ્યવહાર નિયમબધ્ધ કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે.

નવી શરત અને પ્રતિબંધક સત્તા પ્રકારની જમીનોની વેચાણ પરવાનગી કે હેતુફેરના પ્રસંગોએ ખેતી ટુ ખેતી અને ખેતી ટુ બિનખેતી માટે પ્રિમયમ વસુલ કરવાના જે માપદંડો છે તે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના તા.૪-૭-૨૦૦૮ના ઠરાવ ક્રમાંક - નશજ - ૧૦૨૦૦૬ - ૫૭૧ - જ થી નક્કી કરવામાં આવ્યા છે. આ ઠરાવથી ૧૫ વર્ષ ઉપરની ગ્રામ્ય વિસ્તારની તમામ જમીનોને કોઈપણ પ્રકારની પ્રિમયમની રકમ વસુલ કર્યા વગર ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવામાં આવે છે અને જેમાં જમીન જયારે બિનખેતીમાં ફેરવવામાં આવે ત્યારે આ જમીન પ્રિમયમને પાત્ર છે તેવો ઉલ્લેખ નમુના નં. ૭ માં કરવાનો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ખેતી ટુ ખેતીમાં જૂની શરતમાં ફેરવવા ૫૦% પ્રિમયમ ભરવાનું થાય છે. શહેરી વિસ્તારોમાં તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, પૂર્વ યુએલસી વિસ્તાર, શહેરી વિકાસ સત્તા મંડળો, કેન્ટાનમેન્ટ એરીયા, નોટીફાઈડ એરીયા વિસ્તારનો સમાવેશ થાય છે.

 જ્યારે ૧૫ વર્ષ બાદ જો બિનખેતીમાં ફેરફારના પ્રસંગે ૧૫ વર્ષ બાદ ૮૦% જંત્રીના ભાવનું પ્રિમયમ વસુલ કરવાનું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની નવી શરતની જમીનોમાં શૈક્ષણિક કે સખાવતી સંસ્થાઓને બિનખેતીના હેતુ માટે ૫૦% રકમ જંત્રીના ધોરણે વસુલ કરવાની છે. આ રીતે કચ્છ ઈનામી નાબુદી ધારા હેઠળની જમીનોમાં બિનખેતીના હેતુ માટે ૫૦% રકમ વસૂલ કરવાની જોગવાઈઓ છે. આમ નવી શરતની જમીનોના સત્તા પ્રકાર અને જૂની શરતમાં ફેરવવા અને Bonafide Purchaser તરીકેના વેચાણો નિયમબધ્ધ કરવાની જોગવાઈઓની ઉક્ત જાણકારી આમ જનતા માટે ઉપયોગી થશે.

ઇનામ નાબૂદી ધારાઃ કબજાહક્ક જંત્રીના 20% વસૂલી નિયમબદ્ધ

 

ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મળશેઃ સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકારે ગુજરાતમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.જે મુજબ, રાજ્ય સરકાર આવા જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20 ટકા વસૂલીને નિયમબદ્ધ કરશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેેન્દ્ર પટેલને કેટલીક રજૂઆતો મળી હતી. જેમાં કહેવાયું હતું કે, આઝાદી બાદ ભૂમિ સુધારણા કાર્યક્રમના ભાગ રૂપે જમીનોના ખેડનારને તેના હક્કો મળી રહે અને મધ્યસ્થીઓ નાબૂદ થાય તે હેતુથી વિવિધ ઇનામ નાબૂદી કાયદાઓથી ચાકરી, નોકરી, સલામી ભરવા જેવા વિવિધ ઇનામો નાબૂદ કરવામાં આવ્યા અને આવી જમીનોના ખેડનારને તેમની જમીનો પરત્વેના સ્વતંત્ર માલિકીહકકો આપવામાં આવ્યા છે.

આવા માલિકી હક્કો મેળવવા માટે સમય મર્યાદામાં કબજા હક્કની રકમ ભરવી અનિવાર્ય હતી પરંતુ ખેડૂતો તેમની કાયદાની અજ્ઞાનતાના લીધે આ કબજા હક્કની રકમ નિયત સમયમર્યાદામાં ભરી શક્યા નથી. જેથી તેમને આ જમીનો પરના સંપૂર્ણ માલિકી હક્ક મળ્યો નથી અને તેઓ લીટી નીચેના કબજેદાર તરીકે ચાલતા આવ્યાં છે. 

આવા લીટી નીચેના કબજેદારો દ્વારા જમીનો પરત્વે ઉત્તરોતર વેચાણો પણ કરવામાં આવ્યાં છે. આવા જમીનધારકોના કબજાઓ નિયમિત થયા ન હોવાના લીધે આવા કબજેદારો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના લાભોથી વંચિત રહેતા હતા. આવી જમીનોના તબદીલી અને હેતુફેરના સમયે ટાઇટલ ક્લિયરન્સના પ્રશ્નો બહોળી માત્રામાં ઉપસ્થિત થતાં હતા. 

દરમ્યાનમાં મુખ્યમંત્રી સમક્ષ થયેલી રજૂઆતોના આધારે એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે, હાલના જમીન ધારકોને આવી જમીનોના વિકાસ કાર્યો કરવામાં અવરોધ ઉપસ્થિત થતો હતો પરિણામ સ્વરુપ,મુખ્યમંત્રીએ રાજ્યમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અન્વયે આવા જમીનધારકોના કબજાઓ નિયમબદ્ધ કરી આપવાના જે દિશા નિર્દેશો આપ્યાં હતા જેને પગલે હવે આવા કબજાઓ નિયમબદ્ધ થઈ શકશે.

હવે સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટરને સોંપાઈ

મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, અગાઉ આવા કબજાઓ જિલ્લા કલેકટર કક્ષાએ નિયમબદ્ધ કરવાની સત્તા અઢી એકરની જ હતી તે હવે દૂર કરીને હવે સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવાનુ નક્કી કરવામાં આવ્યું છે. આમ, આવી જમીનોના સ્વત્વાર્પણ, બિનખેતી પરવાનગી, વિકાસની કામગીરી પરત્વે ઉપસ્થિત થતા ટાઇટલ ક્લીયરના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાનું કામ જિલ્લા કક્ષાએ હલ થઈ શકશે

ઇનામ નાબુદી અધિનિયમ હેઠળ કોઈ વ્યક્તિ કબ્જેદાર ના હોય તો જ જમીન સરકારમાં નિહિત થશે

હવે મિલકતને BU પરમિશન મળ્યાના 45 દિવસમાં જ આકારણી કરાશે

 

એસ્ટેટ વિભાગ BU અપાયા બાદ ટેક્સ વિભાગને જાણ કરશે


અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હવે મિલકતને BU પરમિશન આપ્યાના 45 દિવસમાં જ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા આકારણી કરવામાં આવશે. કોર્પોરેશનના એસ્ટેટ ટીડીઓ વિભાગ દ્વારા નવી મિલકતને BU આપ્યા પછી 10 દિવસમાં તે અંગેની વિગતો મ્યુનિ. કોર્પોરેશનના ટેક્સ વિભાગને સુપરત કરી દેવામાં આવશે. કોર્પોરેશન દ્વારા મોડ્યુલમાં પણ આ અંગે ફેરફાર કરવામાં આવશે, જેમાં એસ્ટેટ ટીડીઓ વિભાગ દ્વારા BU પરમિશન આપવામાં આવે તેની વિગતો પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ઓનલાઈન દેખાશે. આ પ્રક્રિયાના લીધે આકારણી કરવામાં થતો વિલંબ દૂર થશે અને નાગરિકોને સમયસર બિલ મળશે. 

કોર્પોરેશનમાં સોમવારે મળેલી રેવન્યુ કમિટીમાં આ નિર્ણય કરાયો હતો. GPMC એક્ટ હેઠળ મિલકતને BU પરમિશન આપવામાં આવે તે તારીખથી જ ટેક્સની આકારણી કરવાની થતી હોય છે. હાલમાં જે પદ્ધતિ છે તેમાં એસ્ટેટ વિભાગ દ્વારા મિલકતને BU પરમિશન આપવામાં આવ્યા બાદ તે અંગેની નકલ ટેક્સ ખાતાના સંબંધિત ઝોનમાં મોકલી દેવામાં આવતી હોય છે. ઝોનમાં ટેક્સ ખાતાને આ વિગતો મળ્યા બાદ સ્થળ પર જઈને મિલકતની માપણી કરવામાં આવે છે. ત્યારબાદ માલિકીના પુરાવા મેળવી મિલકતની આકારણી કરવામાં આવે છે. 

જોકે, આ કામગીરીમાં વિલંબ થતો હોવાને પગલે નવી મિલકતોની ઝડપથી આકારણી થાય તે માટે એસ્ટેટ વિભાગ દ્વારા BU પરમિશન અંગેની નકલ અને વિગત 10 જ દિવસમાં મોકલવા માટે સૂચના અપાઈ છે. આ વિગતો મળ્યા બાદ ટેક્સ વિભાગ દ્વારા 45 દિવસમાં આકારણી પૂરી કરવા માટે સરક્યુલર કરવામાં આવ્યું છે. જેથી વોર્ડ ઈન્સ્પેક્ટર દ્વારા BU પરમિશન મળ્યાના 45 દિવસમાં જ આકારણીની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. જો તેમાં વિલંબ થશે તો કર્મચારીની જવાબદારી નક્કી થશે અને તેમની સામે પગલાં પણ લેવાઈ શકે છે. 

નોંધનીય છે કે, કોર્પોરેશને 2021-22માં 671 મિલકતોને BU પરમિશન આપી હતી. જેમાંથી 492ની આકારણી કરાઈ હતી જ્યારે 179ની આકારણી હજુ બાકી હોવાનું જાણવા મળે છે

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...