1.16.2023

પ્રોપર્ટી ભાડે આપતા પૂર્વે અશાંત ધારાની મંજૂરી જરૂરી

 

પ્રોપર્ટી ભાડે આપતા પૂર્વે અશાંત ધારાની મંજૂરી જરૂરી


પિતા-પુત્રને મિલકત બક્ષીસ આપશે તો પણ અશાંત ધારાની પરવાનગી લેવાની રહેશે

રાજ્યમાં હવેથી અશાંત વિસ્તારમાં આવતા વિસ્તારોમાં મકાન ભાડે આપવાનું હશે તો અશાંત ધારાની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. જો તેમ નહીં કરવામાં આવે તો કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેવો પરિપત્ર તાજેતરમાં જ કરવામાં આવ્યો છે. મકાનની લે વેચ, ગીરો, બક્ષીસમાં પણ અશાંત ધારાની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે. આ પરિપત્રથી ઘણી મોટી અસર થાય તેમ છે. 

રાજ્ય સરકારે 11 માર્ચે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, અશાંત વિસ્તારમાં કોમી એકતા જળવાઇ રહે તે હેતુથી ગુજરાત અશાંત ધારા 1991  હેઠળ અલ વિસ્તાર સમાવિષ્ટ થયેલા છે. જે કાયદા મુજબ સમાવિષ્ટ વિસ્તારોમાં કોઇ પણ પ્રકારે વેચાણ, તબદીલી, બક્ષીસ, અદલ બદલ, ગીરો, લીવ એન્ડ લાઇસન્સથી ભાડે આપવી કે અન્ય રીતે ટ્રાન્સફર કરતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ(કલેક્ટર)ની પરવાનગી લેવાની રહેશે. જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવ્યા પછી જ મિલકત તબદીલ કે ટ્રાન્સફર કરી શકાય છે.

અશાંત ધારા કાયદા હેઠળ સમાવિષ્ટ વિસ્તારને ભાડેથી આપવવા, બક્ષીસ, ગીરો કે અન્ય કોઇ રીતે વિધર્મીઓને તબદીલ કરેલ હોય તેનું ધ્યાન આવેલું છે. જેના કારણે સમયાંતરે બે કોમ વચ્ચેના ધર્ષણ થવા અંગેના બનાવો ખાસ કરીને સુરત શહેરમાં બનવા પામ્યા છે આથી અશાંત ધારા કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ પ્રકારની મિલકતોની તબદીલ એટલે કે વિધર્મીઓને મિલકત કોઇપણ પ્રકારે વેચાણ કે બક્ષીસ, અદલાબદલી, લીઝ, ગીરો, લીવ એન્ડ લાઇસન્સ કે અન્ય કોઇ પણ પ્રકારે નોટરાઇઝ્ડ કે એફીડેવીટ  કરતા પહેલાં અશાંત ધારા કાયદા હેઠળની જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા કિસ્સામાં જ એફિડેવિટ કે નોટરીની કાર્યવાહી કરવાની રહેશે. અશાંત ધારાની પૂર્વ મંજૂરી વગર કાર્યવાહી કરવી એ ગુનો બનશે. આ કાયદાનો કડક અમલ કરવા તમામ એડવોકેટ અને નોટરીને કરવાના રહેશે.

ઉપરોક્ત પરિપત્રનો અમલ સુરત માટે હતો પણ રાજ્ય સરકારે તેનો અમલ રાજ્યના તમામ અશાંત વિસ્તારમાં કરવાનો આદેશ કર્યો છે. અત્યાર સુધી દસ્તાવેજ કરતા પહેલાં અશાંત ધારાની પરવાનગી ફરજિયાત હતી. હવે મકાન ભાડે આપતા તથા એફિડેવિટ કરતા પહેલાં અશાંત ધારાની પરવાનગી ફરજિયાત બનાવી દેવાઇ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અસર બહુ મોટી થાય એમ છે. છેલ્લા 22 વર્ષમાં 2002માં તોફાનોને બાદ કરતા રાજ્યમાં એક પણ કોમી તોફાનો થયા નથી. તેમજ જો અશાંતધારાનો અમલ જ કરાવવો હોય તો હિન્દુ-મુસ્લિમ વચ્ચે થતા દસ્તાવેજો માટે જરૂરી છે. પરંતુ હિન્દુ-હિન્દુ અને મુસ્લીમ-મુસ્લીમ વચ્ચે થતા સોદામાં અશાંત ધારાની પરવાનગી બિન વ્યવહારુ હોવાનું જણાય છે.

આ માટે જમીનોના દસ્તાવેજ કરનાર એડવોકેટ મનોજ પટેલે જણાવ્યું હતું કે, અશાંત ધારાની પરવાનગીમાં મોટા પાયે લેતી દેતી ચાલે છે. હિન્દુ-હિન્દુ વચ્ચે થતા દસ્તાવેજમાં પણ પરવાનગી બિન જરૂરી છે. એ આ નવા નિર્ણયથી ઘણાને અસર થશે. બાપ-દાદાની મિલકત હવે લઘુમતી કે બહુમતી વિસ્તારમાં આવેલી હોય અને તે ભાડે આપે તો તેની દર વખતે પરવાનગી લેવાની રહેશે તેવું પરિપત્રમાં સ્પષ્ટ થાય છે. સુરતમાં આવા બનાવો બન્યા હશે પણ અમદાવાદમાં આવા કોઇ બનાવો બન્યા નથી તેનો અમલ પણ અહીંયા શરૂ કરી દેવાયો છે તેના કારણે હવે મકાન ભાડે આપવાની પ્રક્રિયા પણ અટકી જશે. અશાંતધારાની મંજૂરીનો ખર્ચ અંદાજે 10થી 20 હજાર થાય છે હવે આ ખર્ચ મકાન માલિક ભોગવશે કે ભાડુઆત તેના વચ્ચે ગજગ્રાહ ચાલશે. સરકારે ભાડુઆત વાળી મિલકતને તેમાં બાકાત રાખવી જોઇએ.

મળતી માહિતી મુજબ અમદાવાદમાં 60 ટકા વિસ્તાર અશાંતધારા હેઠળ આવી લેવાયો છે. જેમાં 500 મિટરની મર્યાદાનો કાયદો હજુ પણ ગુંચવડો ઊભો કરી રહ્યો છે. કયો વિસ્તાર 500 મીટરમાં નથી આવતો કે કયુ મકાન 500 મિટરમાં નથી આવતું તેની સ્પષ્ટતા કરવા કોઇ તૈયાર નથી. તેના કારણે ઘણી વાત સ્ટેમ્પ ડ્યૂટી કે દસ્તાવેજની ઓફિસમાં તકરાર થાય છે. આ ઉપરાંત ઘણા કોમ્પલેક્ષમાં જુદા જુદા ધર્મના લોકોએ ફાઇનાન્સ કરી ઓફિસો રાખી છે. હવે આ લોકોએ ભાડે આપતા પૂર્વે કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે અને ઘણા લોકો તેનો અલ નહીં કરે તો કાયદો હેઠળ ગમે ત્યારે તેમની સામે પગલાં ભરી શકાય તેમ છે. આ અંગે કલેક્ટર કચેરીના અધિકારીના જણાવ્યા મુજબ, કોઇ પણ મિલકત જો અશાંત ધારામાં આવતી હોય અને પિતાએ એ મિલકત પુત્રને આપવી હોય તો અશાંતધારાની મંજૂરી લીધા બાદ જ તે બક્ષીસ કરી શકશે. પાવર ઓફ એટર્નીમાં પણ જો મિલકત અશાંત ધારામાં આવતી હશે તો તેને પણ અશાંત ધારાની મંજૂરી લેવાની રહેશે અને જો મંજૂરી નહીં લેવામાં આવે તો પાવર ઓફ એટર્ની માન્ય ગણવામાં આવશે નહીં અને તેના માટે નોટરીને પણ આવી નોટરી ન કરવા આદેશ કર્યો છે. 

સુરતમાં ભાડે મિલકતનો વિવાદ

સુરતમાં અશાંતધારામાં આવતી મિલકત ભાડે આપતી વખતે મંજૂરી લેવાની ન હતી. તેના કારણે ઘણા ઘર્ષણના બનાવો બન્યા હોવાનું ત્યાંના કલેક્ટરે પરિપત્રમાં જણાવ્યું છે અને તેના લીધે કોમી તનાવ પણ વધ્યો છે માટે હવેથી ભાડે અપાતી મિલકતમાં પણ અશાંત ધારાની મંજૂરી જરૂરી બનાવી છે.



ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...