- પડોશીઓની વાંધા અરજી બદલ હાઇકોર્ટનો પ્રત્યેકને રૂ.25 હજાર દંડ
- વડોદરાની દુકાન વેચાઇ ત્યારે પાડોશીએ સંમતિ આપી, 6 વર્ષે વાંધો ઉઠાવ્યો
રાજ્યભરમાં અશાંત ધારા હેઠળ કોઇપણ વ્યકિત તેની મિલકત અન્ય સમુદાયને વેચે કે ખરીદે તો પાડોશીઓને તેનો વિરોધ કરવાનો કોઇ અધિકાર નથી. ગુજરાત હાઇકોર્ટે વડોદરાના એક અશાંત ધારાના કેસમાં ઉક્ત અવલોકન કર્યુ છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે હાઇકોર્ટમાં અરજીઓ કરનાર પ્રત્યેક પાડોશીઓને 25 હજાર દંડ ફટકાર્યો છે. કોર્ટે પાડોશીઓએ ઉઠાવેલા વાંધા સામે નારાજગી દર્શાવતા એવી ટકોર કરી હતી કે, તમે હરિશચન્દ્ર નથી તમે 6 વર્ષ અગાઉ મિલકતના વેચાણ સામે સંમતિ આપતી સહી કરી હતી. હવે અચાનક તેમની સામે વાંધો શા માટે? વડોદરામાં હિન્દુ વ્યકિતએ તેની દુકાન મુસ્લિમ વ્યકિતને વેચી હતી. તે અંગે દસ્તાવેજની નોંધણી સમયે રજીસ્ટ્રારે અશાંત ધારા હેઠળ આવી મિલકતના ખરીદ-વેચાણ માટે કલેક્ટરની મંજૂરી લેવી પડે. કલેકટર પાસે મંજૂરી લેવા જતા કલેકટરે પોલીસ પાસેથી રિપોર્ટ લેવા આદેશ કર્યો હતો. પોલીસે તેની તપાસમાં અભિપ્રાય આપ્યો હતો કે, હિંદુની મિલકતનું નક્કી થયા મુજબનું વળતર આપવામાં આવ્યુ છે પરતું જો હિંદુની મિલકત મુસ્લિમને વેચાણમાં આપવામાં આવે તો કાયદો-વ્યવસ્થા જોખમાઇ શકે છે. રિપોર્ટને આધારે કલેકટરે મંજૂરી આપી ન હતી. જેને રેવન્યૂમાં પડકારાયો હતો. રેવન્યૂ સેક્રેટરીએ ડેપ્યુટી કલેકટરના હુકમને મંજુરી આપતાં હાઇકોર્ટમાં સિંગલ જજ સામે અરજી કરાઇ હતી. સિંગલ જજે અરજદારની તરફેણમાં ચુકાદો અપ્યા બાદ દસ્તાવેજ બાદ પાસેના દુકાનદારોએ હાઇકોર્ટમાં વિરોધ કર્યો હતો. ખંડપીઠે તમામને 25 હજાર દંડ કરી અરજી ફગાવી હતી.