8.21.2022

વરસાદી પાણી તેમજ રસ્તા ઉપરના અવરોધો દૂર કરવાની કાયદાકીય જોગવાઈઓ

 

વરસાદી પાણી તેમજ રસ્તા ઉપરના અવરોધો દૂર કરવાની કાયદાકીય જોગવાઈઓ

- મામલતદાર કોર્ટ અધિનિયમ તેમજ અન્ય સત્તાધિકારીઓને

લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ 

IAS (નિ.)

- જીપીએમસી એક્ટની કલમ- ૨૩૦ /૨૩૧નો અમલ જરૂરી

અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન જે નિયમનકારી કાયદાઓ ઘડાયા તેમાં ફક્ત સામ્રાજ્યવાદ કે સંસ્થાનવાદનો (Imperialism and Colonial) ઉદ્દેશ ન હતો, આમ તો ઘણી બાબતોમાં અંગ્રેજ શાસન વ્યવસ્થાને Police State તરીકે પણ ઓળખાતી કારણ કે તેમાં ઘણા કાયદાઓ દમનકારી હતા. જયારે અમુક કાયદાઓ ભારતીય પરિસ્થિતિને અનુરૂપ તેને નિયમન કરતાં કાયદા પૈકીનો એક કાયદો મામલતદાર કોર્ટ અધિનિયમ - ૧૯૦૮ છે. આ કાયદાની જોગવાઈઓનું સ્મરણ તાજેતરમાં એટલા માટે થાય છે કે તાજેતરમાં જે અસાધારણ સ્વરૂપે વરસાદ પડે છે તે સાથો સાથ સંખ્યાબંધ જગ્યાએ કુદરતી વહેતા પાણીમાં અવરોધો પેદા થવાને કારણે અવરજવરના રસ્તાઓ કે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. ગ્રામ્ય વિસ્તારની સાથો સાથ શહેરોમાં વધારે હાલત ખરાબ છે અને પાણી ભરાવાના પ્રશ્નને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ મુલવવામાં આવે તો મચ્છરો કે અન્ય જીવજંતુઓના ઉપદ્રવના કારણે મોટાપાયે રોગચાળો, દુષિત પાણીને કારણે પણ પાણી જન્ય રોગો વિગેરે. મને લાગે છે તે પ્રમાણે આ બધી બાબતોની પ્રતિકુળ સ્થિતિનો ભોગ સામાન્ય નાગરિક બને છે અને વહીવટીતંત્ર લાંબાગાળાના ઉપાયોને બદલે ફાયર ફાઈટીંગ સ્વરૂપે કામગીરી થતી હોવાને કારણે વહીવટીતંત્ર તરફ પ્રજાનો રોષ જોવા મળે છે. સાથો સાથ વહીવટીતંત્રે જે કાયદાથી સત્તાઓ સુપ્રત કરી છે તે પ્રજાના હિતમાં કામગીરી કરવી જરૂરી છે અને તે માટે સામાન્ય જનતાને આ અંગે કાયદાકીય જોગવાઈઓની જાણકારી મળે તે માટે વિવરણ કરૂં છું.

મામલતદાર કોર્ટ અધિનિયમની કલમ-૫માં જ્યારે કોઈ જાહેર રસ્તા ઉપરના અવર-જવરના હક્કો ઉપર અવરોધ પેદા કરવામાં આવે અથવા કુદરતી રીતે વહેતા પાણીમાં અંતરાય / અવરોધ પેદા કરવામાં આવે ત્યારે આ કાયદાની જોગવાઈ પ્રમાણે સબંધકર્તાને વચગાળાનો મનાઈહુકમ દ્વારા ગેરકાયદેસર રીતે અંતરાય / અવરોધ દૂર કરવાનો હુકમ કરી શકે છે અને આ અંગે પક્ષકારોને સાંભળી આખરી હુકમ પણ કરાય અને આ કાર્યવાહી કોઈ પક્ષકારની રજૂઆત સિવાય સ્વમેળે (Suo-moto) પણ હાથ ધરી શકાય અને આ કાર્યવાહી ઉપર સિવિલ કોર્ટને હકુમત નથી એટલે કે Bar of Jurisdiction છે અને આની પાછળનો આશય એ છે કે સ્થાનિક રીતે ઉદ્દભવતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય. આજકાલ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરોમાં કુદરતી રીતે વહેતા પાણીમાં (Water Course) અવરોધ પેદા થાય તે રીતે દબાણો અને રૂકાવટ પેદા કરી છે, જે આ જોગવાઈ હેઠળ દાખલારૂપ કાર્યવાહી થઈ શકે.

આજ રીતે ગુજરાત પ્રોવન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (GPMC) જે મહાનગરપાલિકા વિસ્તાર પુરતો લાગુ પડે છે. આ કાયદાની કલમ-૨૩૦/૨૩૧માં જાહેર રસ્તા ઉપરના દબાણો તેમજ પાણીના વહેણ (Water Channel) ઉપરના અવરોધો / દબાણો મ્યુનિસિપલ કમિશ્નર નોટીસ આપ્યા વગર દૂર કરાવી શકે છે અને આ કાયદાની કલમ-૨૩૦/૨૩૧ હેઠળની જે મ્યુનિસિપલ કમિશ્નરની સત્તાઓ છે તે સુપ્રિમ કોર્ટના ચુકાદાઓથી પણ માન્ય રાખવામાં આવી છે. શહેરીકરણના વ્યાપને કારણે આડેધડ બાંધકામો / કુદરતી રીતે વહેતા પ્રવાહો / નદી નાળાં / ખાડી (creek) વિગેરેમાં જે અંતરાયો પેદા થયા છે તેમાં આ કાયદાની જોગવાઈઓ મુજબ અમલ કરવામાં આવે તો જે વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન છે તે ઉકેલી શકાય. હાલના પરિપ્રેક્ષ્યમાં અસાધારણ વરસાદ પડે છે તેના કારણે સંભવતઃ નદી / નાળાંની ક્ષમતા ન હોઈ શકે, પરંતુ જો સતત પાણીનું વિના વિક્ષેપે વહન થાય તો ટૂંકાગાળામાં પાણી ઉતરી જાય. મારા સુરતના લાંબાગાળાના કાર્યકાળ દરમ્યાન જે પુર / પ્લેગનો સામનો કર્યો છે તે આધારે કહી શકું છું કે સુરતની જે ખાડીઓ (creek) દ્વારા પાણી વહેતુ હતું તેના ઉપર સંખ્યાબંધ દબાણો થયા છે. તાપી નદીમાં silting (સુરત શહેરમાંથી પસાર થતા ભાગમાં) થવાના કારણે તેમજ બેન્કીંગ તુટી જવાથી સામાન્ય વરસાદ કે High tide માં પણ પાણી આવી જાય છે તે ઉપરાંત હજીરા વિસ્તારનો તાપીના કિનારા ઉપરના ભાગમાં ઉદ્યોગોને કારણે તાપીનો જળપ્રવાહ જે વહેતો હતો તેમાં અંતરાય પેદા થયા છે. જેથી પ્રવર્તમાન સમયમાં વરસાદનું જે પેટર્ન બદલાયું છે તે સંજોગોમાં લાંબા ગાળાના ઉપાયો ગ્રામ્ય / શહેરી વિસ્તારો માટે કરવા જરૂરી છે. શહેરોના સુઆયોજિત વિકાસમાં હવે જેમ પાણી, રસ્તા, ગટર અને આવશ્યક સેવા ગણવામાં આવે છે તે રીતે “Storm Water” વરસાદી પાણીના નિકાલ માટે પણ લાંબાગાળાનું આયોજન જરૂરી છે.

વિલ બનાવો અને વિખવાદ વિના તમારી મિલકતોની ઇચ્છિત વ્યવસ્થા કરો

 અકલ્પનીય દુર્ઘટનાઓને ઘ્યાનમાં રાખીને વ્યક્તિએ એની મિલકતનું વિલ બનાવીને પોતાની ઈચ્છા પ્રમાણે મિલકતની વ્યવસ્થા કરવી જોઈએ


તમારી જમીન, તમારી મિલકત 

> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

વસિયતનામું યાને વિલને કાયદાના કોઈ કઠોર નિયમો લાગુ પડતા નથી. ભારતમાં વિલના વિષયનો ઈન્ડિયન સક્સેસન એકટ ૧૯૨૫ માં સમાવેશ કરવામાં આવેલો છે. આથી નીચે આપેલી સૂચના દરેક વિલ બનાવનારે લક્ષમાં                                                                         લેવી જરૂરી છે.

            વિલ એ અંગત ઈચ્છા દર્શાવતો માન્ય દસ્તાવેજ છે. વિલથી કઈ મિલકત કોને આપવી તમારી ઈચ્છા અને આદેશ શું છે અથવા અમુક વ્યક્તિઓને મિલકત આપવા-ન આપવા માટે તમારો શો અભિપ્રાય છે તે તમે ખુલ્લા દિલે દર્શાવી શકો છો. એટલે વિલથી વ્યકિત પોતાની મિલકતની પોતાને ફાવે તેવી વ્યવસ્થા કરી શકે છે. ઉલટાનું કાયદો આવી ઈચ્છાને માન્ય કરે છે.

- વિલ ઘરડાઓએ જ બનાવવું જોઈએ એવી પણ માન્યતા છે, પરંતુ મિલકત જેની પાસે હોય તે દરેક વ્યકિતએ, પછી તે નાની ઉંમરની હોય કે મોટી ઉંમરની, વિલ તો બનાવી રાખવું જ જોઈએ.
- વર્તમાન સમયમાં કસમયના મોત અને કુદરતી મૃત્યુ ઘણાં થાય છે. અકસ્માત અને અકલ્પનીય દુર્ઘટનાઓને ઘ્યાનમાં રાખીને વ્યક્તિએ એની મિલકતનું વિલ બનાવીને પોતાની ઈચ્છા પ્રમાણે મિલકતની વ્યવસ્થા કરવી જોઈએ.
- તમારા છેલ્લા વિલમાં મૃત્યુ બાદ મિલકતની વ્યવસ્થા કેવી રીતે કરવી એ વિષે તમારા કુટુંબમાં અથવા સગાવહાલામાં કોઈ ગૂંચવણ કે શંકા ઉપસ્થિત થશે નહીં.
- વિલમાં, તમે તમારા કુટુંબના જે સભ્યોને વધુ દેખરેખ, સાર સંભાળ, ઉછેર અને હૂંફની જરૂર છે તેને માટે અને તેની વિશિષ્ટ જરૂરિયાતો માટે ચોક્કસ જોગવાઈ કરી શકો છો. જો તમે વિલ નહીં બનાવ્યું હોય તો આવી વ્યકિતઓને વારસાઈ ધારાની જોગવાઈઓનો કોઈ લાભ આપી શકાશે નહીં. વિલ બનાવ્યું હશે તો કુટુંબીઓની અગવડોનો પણ અંત આવશે. સંજય ગાંધીના અવસાન બાદ મેનકા ગાંધી અને ઈન્દિરા ગાંધી વચ્ચે આવો જ વિવાદ પેદા થયો હતો, કેમ કે સંજય ગાંધીએ કોઈ જ વિલ બનાવ્યું ન હતું.
- જો વિલ બનાવવામાં ન આવ્યું હોય તો એવું પણ બને કે તમારા કુટુંબના જે સભ્યએ તમારો અનાદર કરેલો હોય પરંતુ જ્યારે તમારા મૃત્યુની જાણ થશે ત્યારે તે તમારી મિલ્કતમાં ભાગ લેવાને માટે હાજર થઈ વારસો મેળવવાનો હક કરી શકે છે.
- મૃત્યુ પછી પોતાનાં નાનાં બાળકોને દુઃખ ન પડે એ માટે વિલનો કર્તા વિલથી ટેસ્ટામેન્ટરી વાલી નિમી શકે છે. વિલથી જે વાલી નિમાય છે તેને ટેસ્ટામેન્ટરી વાલી કહે છે. એવું બને કે બાળકોની માતા એમના પિતા કરતાં પહેલાં ગુજરી ગયાં હોય અને જ્યારે વિલ બનાવે ત્યારે બાળકો માટે તે આવા વાલીની નિમણૂક કરી શકે છે. જેથી માતાપિતા ન હોય તો પણ બાળકોને દુઃખ ન પડે. જો કે જેને આવા વાલી નીમવાનો હોય તેની મંજુરી મેળવી લેવી જોઈએ.
- જો કે વિલ બનાવ્યા પછી માનસિક રીતે વ્યકિતને એમ લાગે છે કે પોતાની બધી જ મિલકત બીજાને આપી બેઠો છે તેથી તેનામાંથી જીવનનો રસ ઉડી જાય છે અને તે વહેલો મૃત્યુને આધિન થાય છે. જો કે આ માત્ર માન્યતા છે. બહુ ઓછા કિસ્સામાં આવું બનતું હોય છે. પરંતુ સમય પહેલાં મૃત્યુનું એક સાયકોલોજિક કારણ હોઈ શકે. મજબુત મનના માણસોને આવી કોઈ અસર થતી નથી.
- તમારી મિલ્ક્તનું વિલ બનાવીને તમે ટેક્સ પ્લાનિંગ પણ કરી શકો છો. આમ, વિલ બનાવવાના લાભો ઘણા છે, તેથી દરેક મિલકતધારી વ્યકિતએ વિલ બનાવીને નિશ્ચિત થઈ જવું જરૂરી છે.

વિલ ઘડવા ધ્યાને રાખવાની સામાન્ય વિગતો અને રૂપરેખા :

વિલના કર્તાનું નામ, ઉંમર અને તેનું સરનામું જણાવવું જરૂરી છે. વિલ બનાવવા ઈચ્છનાર ટેરેસ્ટર પોતાની સ્વેચ્છાથી સભાનપણામાં વિલ બનાવે છે તેવી હકીકત લખવી જરૂરી છે. વિલ બનાવવા ઈચ્છનાર વ્યકિત સ્વચ્છ અને સંગીન મન ધરાવે છે. તે વિલ શા માટે બનાવવા માંગે છે અથવા તેને વિલ બનાવવાની શી જરૂરત છે તે હકીકત. અસંદિગ્ધ અને સ્પષ્ટ ભાષા. વસિયતથી બક્ષીસ આપવાની કાર્યવાહીની વિગત. વિલ બનાવનારના એવાં સગાંવ્હાલાંની યાદી કે જેઓને વિલ બનાવનાર બિનવસિયતી ગુજરી જાય તો મિલકત મળે તેમ છે, એવાં સગાંઓની યાદી કે જેમને વિલ બનાવનાર પોતાની મિલ્કત આપવા ઈચ્છે છે. વિલથી બક્ષિસ આપવાની મિલકતોની સૂચિ. અને વિગત. પ્રવર્તક (એક્ઝિયુટર)ની નિમણુક કરવી હિતાવહ છે. આ વિલ બનાવવાથી વારસાના કાયદાની કલમો ૧૧૨ થી ૧૧૮ સાથે કોઈ સંઘર્ષ તો પેદા નથી થતો. એટલે વિલ બનાવતી વેળાએ તેના ઘડનારે રૂલ અગેઈન્સ્ટ પરપેસ્યુઈટટીઝ, ડિરેક્શન અગેઈન્સ્ટ પરપેસ્યુઈટટીઝ, ડિરેક્શન અગેઈન્સ્ટ એક્યુમ્યુલલેશન, ધાર્મિક અને ધર્માદા સંસ્થાઓને બક્ષેસ વિગેરે વારસાના નિયમો સાથે સંઘર્ષ પેદા ન થાય તે જોવાનું રહેશે. એટલે કે આવો સંઘર્ષ ટાળીને વિલ બનાવવું જોઈએ. વિલથી ઉપસ્થિત કરેલાં ટ્રસ્ટો અને આપેલ બક્ષિસો વિશેની જોગવાઈઓ છે કે કેમ ? વિલ બનાવવાના સૂચનો શકય હોય ત્યાં સુધી કર્તા પાસેથી જ મેળવવાં. જે ત્રાહિત વ્યકિતઓ વિલની મિલકતમાં હિત ધરાવતી હોય તેમની પાસેથી ન મેળવવાં. તેને સંતાનો છે ? બીજાં સંતાનો થવાની શક્યતા છે ? વિલનો કર્તા ઔરસ વ્યકિત છે કે અનૌરસ ? વિલના કર્તાની વ્યકિતગત સ્થિતિ, તેના કુટુંબની સ્થિતિ અને તે વિલ શા માટે બનાવે છે તે વિશેના હેતુ જાણી લેવા. વિલથી જે મિલકત કે તેમાંનું હિત આપવાનું ધાર્યુ છે તેની સ્પષ્ટ વ્યાખ્યા અને ઓળખ આપવા જરૂરી છે અને સાથોસાથ તે આપવાનો ઈરાદો પણ સ્પષ્ટ રીતે વ્યક્ત કરાયેલો હોવો જોઈએ. વિલમાં યોગ્ય રીતે સહી અને બે સાક્ષીઓની સાક્ષીકરણ થવા 
જોઈએ. રજિસ્ટર્ડ અને નોટરાઈઝડ વીલ હિતાવહ છે.

વિલકર્તાએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છેઃ

(૧) દરેક પુખ્ત વયની વ્યકિત વિલ બનાવી શકે છે. કોઈના દબાણ હેઠળ વિલ બનાવવું નહીં.
(૨)વિલના કર્તાએ પોતાના વિલમાં છેલ્લે અથવા નીચે સહી કરવી અથવા તો તેની પોતાની હાજરીમાં તેની પોતાની સૂચનાથી બીજી કોઈ વ્યકિત પાસે સહી કરાવવી.
(૩)જો વિલ ઘણાં પાનાનું હોય તો વિલના કર્તાએ દરેક પાના પર પોતાની સહી કરવી હિતાવહ છે (ફરજિયાત કે  જરૂરી નથી પરંતુ હિતાવહ છે ).
(૪)વિલ સાદા કાગળ પર બનાવી શકાય છે. એ માટે કોઈ સ્ટેમ્પ પેપરની કે કોઈ લીગલ પેપરની જરૂર નથી.
(૫)વ્યકિત પોતાના જીવનકાળ દરમિયાન ઈચ્છે તેટલીવાર પોતાનું વસિયતનામું બદલી શકે છે. નવું બનાવવામાં આવે ત્યારે જૃનું વસિયતનામું સ્વયં રદ બાતલ થયેલું ગણાય છે. પરંતુ આગલુ વિલ રદ કર્યું છે તેવો ઉલ્લેખ કરવો જરૂરી છે. વ્યકિતનું અવસાન થાય ત્યારે તેણે બનાવેલું છેલ્લું વસ્યિતનામું અમલી ગણાય. વ્યક્તિએ અગાઉ વસિયતનામું બનાવ્યું હોય અને જો તે સંપૂર્ણતઃ નવું વસિયતનામું બનાવવાને બદલે તેમાં કેટલાક સુધારાવધારા કે પુરાવણી કરવા માગતી હોય, તો તેવા
સંજોગોમાં તે પૂરક કે વધારાનું વસિયતનામું (કોડીસીલ) કરી શકે છે. કોડીસીલ બનાવવામાં આવ્યું હોય ત્યારે વિલ અને કોડીસીલ બંને સંયુકત અને એકબીજાને પૂરક દસ્તાવેજ બની રહે છે.
(૬) વિલ બનાવતી વેળાએ કોઈ કાયદાકીય શબ્દો વાપરવાની જરૂર નથી. મુખ્ય બાબત એ છે કે વિલ બનાવનાર પોતે શું ઈચ્છે છે અને પોતાની મિલ્કતની વ્યવસ્થા કેવી રીતે કરવા માગે છે તેનું સ્પષ્ટ ચિત્ર વિલના લખાણમાંથી ઉપસી આવવું જોઈએ. તેથી સાદી અને સરળ ભાષામાં વિલ બનાવવું જોઈએ.
(૭)વિલના અંતે વસિયત બનાવનાર વ્યકિતએ એટેસ્ટેશન સ્વરૂપ બે સાક્ષીઓની ઉપસ્થિતિમાં પોતાની સહી કરવી જોઈએ. સાક્ષીઓએ સહી કરતી વખતે વિલની વિગતો જણાવવી કે વાંચવી જરૂરી નથી. વિલ હેઠળ જેને લાભ મળવાનો હોય તેવી વ્યક્તિની સાક્ષી તરીકે સહી ન લેવામાં આવે તો તે સલાહભર્યું છે.

નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

વીલ વસિયતનામા ને લગતા અન્ય લેખ

સુપ્રીમકોર્ટના ચૂકાદા મુજબ બિનખેડૂતની તરફેણમાં થતા વીલ ગેરકાયદેસર

ખેતીની જમીન વીલ મારફતે બિન-ખેડૂત ને તબદીલ થઇ ના શકે :સુપ્રીમ કોર્ટ

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...