10.09.2022

વારસાઈ/નામફેર કરવા લેવામાં આવતા પેઢીનામાની જોગવાઇઓ

 

વારસાઈ/નામફેર કરવા લેવામાં આવતા પેઢીનામાની જોગવાઇઓ

- રાજ્ય સરકારના મહેસૂલવિભાગ દ્વારા

લોકાભિમુખ માર્ગદર્શન 

- એચ.એસ. પટેલ IAS (નિ.)

- વારસાઈ કરવાની બાબતમાં પેઢીનામું એક અગત્યના સાધનિક પુરાવા તરીકે તમામે કાયદેસરનાં વારસદારોનો સમાવેશ કરવાના ભાગ તરીકે તૈયાર કરવાનું હોય છે 

- પેઢીનામું મેળવવામાં હવે સોગંધનામું કરવાની જરૂરિયાત  રહેતી નથી

અગત્યના પરિપત્રો

1-પેઢીનામુ (પેઢીઆંબા) તેયાર કરવા બાબત પરિપત્ર ક્રમાંક : હકપ/૧૦૨૦૧૪/૭૫૬/જ

2-પેઢીનામું (પેઢીઆંબા) તૈયારી કરવા બાબત પરિપત્ર ક્રમાંક : હકપ/૧૦૨૦૧૪/૭૫૬/જ

જમીન ધારક/મિલકત ધારક કે જેમના નામે જમીન/ મિલકત ચાલતી હોય તેનું મૃત્યુ થાય ત્યારે વારસાઈ(Heirship) કરવાની થાય છે. જેમાં મૃત્યુ પામનારના કાયદેસરના વારસોના નામ મહેસૂલી રેકર્ડ ઉપર લાવવાની પ્રક્રીયાને વારસાઈ તરીકે ઓળખવામાં આવે છે. કાનુની પરિભાષામાં ભારતીય વારસાહક્ક અધિનિયમની જોગવાઇઓ મુજબ જમીન/ મિલ્કતની વહેંચણી કે હિસ્સો મૃત્યુ પામનાર કાયદેસરના વારસદારોને પ્રાપ્ત થાય છે. જમીન મહેસૂલ અધિનિયમની હક્કપત્રની જોગવાઇઓમાં વારસાઇ કરવી તે મહેસૂલી રેકર્ડ અદ્યતન રાખવાનો પણ એક ભાગ છે અને તે પ્રક્રીયામાં જમીનનો ખાતેદાર /મિલકત ધારકનું મૃત્યુ થાય ત્યારે મરણના દાખલા સાથે વારસાઈ કરવા માટે સબંધિત વિસ્તારના મામલતદારને અરજી કરવાની હોય છે. જો સંબંધિત મિલ્કત સીટી સર્વે વિસ્તારમાં હોય તો તે વિસ્તારનાં સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટને અરજી કરવાની હોય છે. વારસાઈની પ્રક્રીયામાં જે કાયદેસરના વારસોના નામ દાખલ કરવાપાત્ર હોય તેમાં સાધનિક પુરાવા તરીકે પેઢીનામું રજૂ કરવાનું હોય છે. જેમાં લોહીના સબંધના સીધી લીટીનાં વારસદારોના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ પેઢીનામામાં મૃતકનાં દિકરી અને બહેનોને પણ ૧૯૫૬ ના કાયદા મુજબ હક્ક મળવાપાત્ર હોઇ તેઓનો પણ પેઢીનામામાં ઉલ્લેખ કરવાનો હોય છે. અગાઉ આ પેઢીનામું પંચોની રૂબરૂમાં તલાટી દ્વારા તૈયાર કરવામાં આવતું જેમાં કોઈ દાખલ કરવાપાત્ર વારસદાર કોઈકવાર રહી જવા પામતા- આ પેઢીનામાને વારસાઈ આંબો (Family Tree) તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ ખેતીવિષયક કે બિનખેતી વિષયક જમીન મહેસૂલી રેકર્ડમાં ચાલતી હોય અને તેના કબ્જેદાર માલિક મૃત્યુ પામે ત્યારે તેની વારસાઈ ગામના હક્કપત્રકના નમુના નં - ૬ માં થાય છે. તે જ રીતે સીટી સર્વે વિસ્તારમાં મિલ્કતનો ઘારક મૃત્યુ પામે ત્યારે તેની વારસાઈ મિલ્કત રજીસ્ટરે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ  દ્વારા કરવામાં આવે છે અને આ અંગે પણ નિયત નમૂનો મહેસૂલ વિભાગે નક્કી કર્યો છે અને તે અંગેનો તા.૨૩-૪-૨૦૦૭ના ઠરાવ ક્રમાંક સીટીએસ/૧૨૨૦૦૫/૨૮૦૯ / હ કરવામાં આવ્યો છે અને આમાં સીટી સર્વેનાં તમામ પ્રકારના ફેરફાર વારસાઈ સહિતની વિગતવાર માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવી છે.

વારસાઈ કરવાની બાબતમાં પેઢીનામું એક અગત્યના સાધનિક પુરાવા તરીકે તમામે કાયદેસરનાં વારસદારોનો સમાવેશ કરવાના ભાગ તરીકે તૈયાર કરવાનું હોય છે અને આ પેઢીનામું તૈયાર કરવાની જવાબદારી સંબંધિત ગામના તલાટીની હોય છે. તલાટીની એટલા માટે કે સંબંધિત ગામ/વિસ્તારના તલાટીને મરણ નોંધણીના (Death Registration) રજીસ્ટાર તરીકે પણ અધિકૃત કરવામાં આવ્યા છે એટલે કોઈપણ ખાતેદાર/મિલ્કત ધારક મૃત્યુ પામે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં તલાટીએ નમુના નં - ૧૪માં નોંધ કરવાની છે અને ગ્રામ્ય અધિકારી તરીકે અગાઉ હક્કપત્રકમાં વારસાઈ નોંધ તલાટી દ્વારા પાડવામાં આવતી હતી. હવે ઇ-ધરા કેન્દ્રમાં મામલતદાર કચેરીમાં વારસાઈ નોંધ પાડવામાં આવે છે. પરંતુ સાધનિક કાગળો તલાટી દ્વારા તૈયાર કરવામાં આવે છે. રાજ્ય સરકારના મહેસૂલી વિભાગનાતા.૧૪-૫-૨૦૧૪ ઠરાવમાં પેઢીનામું તૈયાર કરવાની સુચનાઓ આપેલ છે અને આ પરિપત્રમાં ખેતીની જમીન- બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ)ની વારસાઈ અંગે પેઢીનામું બનાવવાનો ઉલ્લેખ હોવાથી તેનું અર્થઘટન સિમિત સ્વરૂપે એટલે કે ખેતીની જમીન તેમજ બિનખેતીની જમીન (ખૂલ્લા પ્લોટ) પુરતું મર્યાદિત પેઢીનામું તૈયાર કરવાની અને તે અંગે ગેરસમજ હોવાના કારણે ખેતીની જમીનમાં/મિલ્કતમાં વારસાઈ કરવાના પેઢીનામામાં મુશ્કેલીઓ જણાતી હતી. જેથી ખેતીની જમીન તથા બિનખેતીની જમીન (ખૂલ્લા પ્લોટ) ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં તથા શહેરી વિસ્તારમાં પરંતુ સીટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલ મકાનો, ફ્લેટો, એપાર્ટમેન્ટ, વાણિજ્ય દુકાનો, ઑફિસો જેવી તમામ સ્થાવર મિલ્કતો(ઇમલા સહિતની મિલ્કતો) બાબતે પણ સંબંધિત તલાટી કમ મંત્રી/સીટી/કસ્બા તલાટીએ પેઢીનામા બનાવી આપવાની જોગવાઈ તાજેતરમાં મહેસૂલ વિભાગના તા.૨૦-૯-૨૦૨૨ના પરિપત્ર ક્રમાંક - હક્ક/ ૧૦૨૦૧૪ / ૭૫૬ /જ અન્વયે કરવામાં આવી છે. આ ઉપરાંત સંબંધિત તલાટીઓ દ્વારા મૃત્યુ પામનાર વ્યક્તિના સ્થળ અને નોંધણી બાબતોમાં પણ દ્વીધા હતી. તેમાં સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિનું અવસાન સ્થાયી રહેણાંકના સ્થળ અથવા વતનના સ્થળના તલાટીએ પેઢીનામું કરવાનું રહેશે. અરજદારને વતન કે રહેણાંકના સ્થળના તલાટીને અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. એટલે કે બન્નેમાંથી કોઇપણ સ્થળે અરજી કરવામાં આવે તો સબંધિત તલાટીએ પેઢીનામું આપવાની કાર્યવાહી પણ કરવાની રહેશે.

બીજુ કે મહેસૂલ વિભાગનાં અગાઉના તા.૧૪-૫-૨૦૧૪ના ઠરાવમાં અરજદારે પેઢીનામું સોગંધનામામાં કરવાનું હતું અને તે અંગેનો નિયત નમૂનો પણ નક્કી કરવામાં આવેલ હતો. હવે આ સુધારેલ પરિપત્રથી સોગંધનામાનાં બદલે Self Declaration એટલે કે સ્વઘોષણા કરવાની રહેશે અગાઉ જે પેઢીનામું તૈયાર કરવામાં આવતું તેમાં તલાટી સમક્ષ પંચોની રૂબરૂ પેઢીનામું તૈયાર કરવામાં આવતું હતું. હવે પેઢીનામું સોગંધનામા ઉપર કરવાની જરૂર નથી. રાજ્ય સરકારે આ અંગેનો નિયત નમૂનો પણ તૈયાર કર્યો છે. આમ જનતાને વારસાઈ કરાવવાની બાબતમાં પેઢીનામાની પ્રક્રીયાની જાણકારી હોતી નથી અને આને કારણે ગામ દફતરે કે શહેરી વિસ્તારમાં જમીન/મિલ્કતમાં ધારકના મૃત્યુ બાદ કાયદેસરનાં વારસદારોના નામ દાખલ કરવા માટે પેઢીનામું અગત્યનો દસ્તાવેજી પુરાવો હોય છે. જેથી લોકોને ઉપરોક્ત જાણકારી પેઢીનામું મેળવવામાં અને ત્યારબાદ વારસાઈ કરાવવામાં ઉપયોગી સાબિત થશે.

IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

પ્રોપર્ટી કાર્ડમાં ગુજરનારની વારસાઈ દાખલ કરાવવા વારસદારોએ શું કાર્યવાહી કરવાની રહે ?

 

સર્વે /ગામઠાણ સર્વે હેઠળ મિલકતોના હક્કોની નોંધણી કરાવવી જરૂરી છે


પ્રશ્ન (૧) : સિટી સર્વે રેકર્ડની નનિભાવણીથી મિલકત ધારણકર્તાને શું લાભ મળે છે ? (વિનિતા એડવોકેટ)
જવાબઃ સિટી સર્વે/ગામઠાણ સર્વે થયા પછી સિટી સર્વેમાં મિલકતો ઉપરના હક્કોની ચોક્સી (ખરાઇ) કરવામાં આવે છે અને ત્યાર પછી પ્રોપર્ટી કાર્ડ્સના રૂપમાં હક્કપત્રક (રેકર્ડ ઓફ રાઈટસ) તૈયાર થાય છે, તેને અધિકારી પ્રમાણિત કરે છે. તે પછી હક્ક ચોક્સી અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલી સનદો /સ્કેચો ખાનગી મિલકતોના માલિકોને જરૂરી ફી લઈને આપવામાં આવે છે. આ ઉપરાંત મિલકતની હદ ક્ષેત્રફળ અને તે ઉપરના હક્કોમાં થતા ફેરફારો પ્રોપર્ટી કાર્ડમાં તથા આનુષાંગિક પત્રકોમાં નોંધીને સિટી સર્વે/ગામઠાણ સર્વેનું રેકર્ડ અદ્યતન રખાય છે. આવું અદ્યતન રેકર્ડ તેઓની મિલકતોની હદો અને ક્ષેત્રફળને ચોક્ક્સ રાખે છે અને તે ઉપરના માલીક-કબજેદારોના હક્કોને સુરક્ષિત રાખે છે. આ રેકર્ડનો નિભાવનો મિલકત ધારણ કરનારાઓની તકરારોનો નિકાલ લાવવામાં સહાયરૂપ બને છે.  કોઈ વ્યક્તિએ દબાણ કર્યું હોય અગર હક્કદાવો કર્યો હોય ત્યારે કોર્ટ-કચેરીમાં ઉપરોક્ત રેકર્ડને પુરાવારૂપે ગ્રાહ્ય રાખવામાં આવતું હોવાથી હકકોને કાયદાકીય રક્ષણ પણ બક્ષે છે. વળી મિલકતોની હદો, ક્ષેત્રફળ અને તે ઉપરના હક્કોમાં વખતો વખત થતા ફેરફારોને નોંધીને અદ્યતન રખાય છે.

પ્રશ્ન (ર): મિલકતોના હક્કોમાં થતા ફેરફારો શેનાથી થાય છે ? (મેરૂ ભરવાડ)
જવાબઃ (૧) કૌટુંબિક મૌખિક વહેંચણીથી તથા વેચાણ, વહેંચણી, રિલીઝ બક્ષિસ, ગીરો, શાનગીરો, ભાડાપટ્ટો વગેરે રજિસ્ટર્ડ દસ્તાવેજથી.
(૨) કૌટુંબિક મોખિક વહેંચણીથી, અરજી, વહેંચણ દસ્તાવેજથી કે રજિસ્ટર્ડ વેચાણ, કબજાગીરો દસ્તાવેજથી આખી ‘મિલક્ત પૈકી અમુક ભાગનું વેચાણ થયું હોય. ત્યારે તવા હક્ક મેળવનારાઓની અરજી પરથી પ્રત્યક્ષ કબજા મુજબ માપણી કરીને મિલકતના વિભાગ પાડી, જે તે પ્રાપ્ત કરનારને નામે વિભાગ નોંધીને.
(૩) સિટી સર્વે રેકર્ડમાં જે વ્યકિતનું નામ ચાલતું હોય તે ગુજરી જવાથી, વારસાઈ હક્કથી અગર ગુજરનારના રજિસ્ટર્ડ કે અનરજિસ્ટર્ડ (છેલ્લા) વિલથી પ્રાપ્ત કરનારાની અરજીથી.
(૪)સરકારી જમીન લાંબી મુદતના કે ટુંકી મુદતના ભાડા પટેથી સક્ષમ મહેસૂલી અધિકારીઓના હુકમથી આપવાથી.
(૫)સક્ષમ મહેસૂલી અધિકારીઓના હુકમો અન્વયે સરકારી જમીન કાયમી ધોરણે ખાનગી વ્યકિત કે સ્થાનિક સંસ્થાને ગ્રાન્ટ થવાથી.
(૬) જાહેર હેતુ માટે ખાનગી જમીનો સંપાદન થવાથી. 
(૭)જાહેર હેતુ માટે સરકારી જમીનો નીમ થવાથી.
(૮)સિટી સર્વે લિમિટમાં સમાવિષ્ટ કરવામાં આવેલી ખેતીની જમીનમાં ખેતી સિવાયની પરવાનગીથી.
(૯) નિયમ મુજબની મિલકતોનું સ્થળ [નિરીક્ષણ કરી તેનો ઉપયોગ / બાંધકામમાં થયેલા ફેરફારોથી.

પ્રશ્ન (૩) : કૌટુંબિક મૌખિક વહેંચણી આધારે સિટી સર્વે દફતરે પ્રોપર્ટી કાર્ડમાં નોંધ કરાવવી હોય તો અરજી સાથે કયા કયા પુરાવા રજૂ કરવા પડે ? (મનસુખ ઠુમ્મર-સુરત)
જવાબઃ સિટી સરવે દફતરે પ્રોપર્ટી કાર્ડમાં કોઈ મિલકત બે કે વધારે ભાઈઓના સંયુક્ત નામે ચાલતી હોય ત્યારે ભાઈઓએ સંયુક્ત નામે તેમની મિલકત જે વિસ્તારમાં આવી હોય તે વિસ્તારના સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને લેખિત અરજી આપી અંદરોઅંદરની મોંઢાની વહેંચણી આધારે મિલક્તનો અમુક એક દિશાનો ચોક્કસ ભાગ એક ભાઈને અને અમુક બીજી દિશાનો ચોક્કસ ભાગ બીજા ભાઈના ભાગે આવેલો છે અને તે મુજબ પ્રત્યક્ષ કબજા મુજબની વિભાગ માપણી કરી હિસ્સાની સનદ આપવા માટે લેખિત અરજી કરવાની રહે છે. આવી વહેંચણીની બાબતમાં સામાન્યતઃ પુરાવા તરીકે માપણી, પ્લાન, સોગંદનામું, સંમતિપત્ર વગેરે. લેખિત અનરજિસ્ટર્ડ કરાર થયો હોય તે રજૂ કરી શકાય, પરંતુ જો નાણાંકીય લેવડદેવડના પ્રકારનું લખાણ અગર વહેંચણી દસ્તાવેજને સ્ટેમ્પડયુટી ભરપાઈ કરીને રજિસ્ટર્ડ કરાવી લેવાનું ફરજિયાત છે. તેવી જ રીતે અમુક એકથી વધારે મિલકતો સંયુક્ત નામે ચાલતી હોય અને અંદરોઅંદરની મૌખિક વહેંચણીથી આખી તમામ ‹મિલકતો’ વહેંચી લેવામાં આવતી હોય તો તે પ્રમાણે જે તે મિલકતની વહેંચણીના આધારે પ્રાપ્ત કરનાર જે તે ભાઈના નામે દાખલ કરવા લેખિત અરજી આપવાની હોય છે.

પ્રશ્ન (૪) સિટી સર્વે દફતરે પ્રોપર્ટી કાર્ડમાં ગુજરનારની વારસાઈ દાખલ કરાવવા વારસદારોએ શું કાર્યવાહી કરવાની રહે ? (પંકજ દવે)
જવાબઃ જો કોઈ મિલકતના માલિક ગુજરી ગયા હોય તો વારસાઈથી તેમની મિલકત પ્રાપ્ત કરનારા વારસદારોને તે મિલકત પ્રાપ્ત થાય તેની નિયત નમૂનામાં અરજી અને મરણનો દાખલો રજુ કરવાનો હોય છે. પેઢીનામું, સોગંદનામું અને વિલ હોય તો તે પણ રજુ કરાય છે. અરજીમાં મિલકતના માલિક ગુજરી ગયાની તારીખ તથા તેમની વિધવા તથા તમામ દીકરા અને દીકરી વારસદારોનાં નામ જણાવવાં, હિન્દુ વારસા ધારો, ૧૯૫% અને ૨૦૦૫ અન્વયે તમામ વારસદારોને એટલે કે વિધવા પત્નીના દીકરા, દીકરીઓને સરખે હિસ્સે, વારસાઈથી હક્ક પ્રાપ્ત થાય છે. અરજી મળ્યા પછી જે તે મેન્ટેનન્સ સર્વેયર તમામ વારસદારોને રૂબરૂ જવાબ માટે નિયત તારીખે હાજર રહેવા લેખિત પત્ર દ્વારા જાણ કરે છે. નિયત તારીખે વારસદારો હાજર થાય ત્યારે પ્રોપર્ટી કાર્ડ ઉપરથી કોના નામે મિલકત ચાલે છે તેની ખાતરી કરીને વારસદારોના જવાબ લે છે, તેમાં ગુજરનારના પેઢીનામાની વિગતો, ગુજરનારે ગુજરતાં અગાઉ કોઈ વિલ અગર વસિયતનામું કર્યું છે કે નહીં, મિલક્ત વારસદારોના પ્રત્યક્ષ કબજા ભોગવટામાં છે અને પેઢીનામામાં જણાવેલા વારસદારો સિવાયના કોઈ વારસદારો રહી જતા નથી ને ! ઈત્યાદિ વિગતોનો રૂબરૂનો જવાબ નોંધે છે અને તે ઉપર વારસદારોની સહી મેળવે છે અને મેન્ટેનન્સ સર્વેયર પણ તારીખ સાથેની પોતાની સહી કરે છે. જે વારસદારો પોતાને પ્રાપ્ત થયેલો હક્ક અન્ય વારસદારોની તરફેણમાં રીલીઝ/છોડી દેવા/જતા કરવા માગતા હોય તેમણે તેવા જવાબ માટે હાજર રહેવું પડે. સામાન્ય રીતે પ્રોપર્ટી કાર્ડમાં એક અઠવાડિયામાં નોંધ કરી દેવાની હોય છે.

પ્રશ્ન (પ) : સિટી સર્વે વિસ્તારમાં આવેલી મિલકતોની બાબતમાં રજિસ્ટર્ડ થયેલા દસ્તાવેજોની નોંધ સિટી સર્વે રેકર્ડમાં પ્રોપર્ટી કાર્ડમાં કરાવવા માટે શું કરવું પડે ? (ધરમશી બોરડ)
જવાબઃ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા એટલે કે રજિસ્ટર્ડ થયેલા વેચાણ, વહેંચણ, રિલીઝ, ફારગતિ, બક્ષિસ, શાનગીરો અને ભાડાપટ્ટો વગેરે દસ્તાવેજો બાબતમાં સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી નોંધાયેલા દસ્તાવેજોના ઉતારા (ઈન્ડેક્સ-૨) મિલકતોનો પ્રોપર્ટી કાર્ડમાં નોંધ કરવા મોકલવા જરૂરી છે. આ ઉતારાઓ ઉપરથી સિટી સર્વે કચેરીમાં સંબંધિત મિલકતના પ્રોપર્ટીકાર્ડમાં તેની નોંધ કરવામાં આવે છે તેવું કાયદામાં પ્રાવધાન છે. લેન્ડ રેવન્યુ કોડ કલમ ૧૩૫(ડ) અન્વયેની નોટીસ સંબંધકર્તાઓને બજાવી તે નોટીસની તારીખથી એક માસની મુદતમાં કોઈ વાંધા ન આવે તો તે હક્ક ફેરફારની નોંધ મંજૂર કરવામાં આવે છે અને નોંધ મંજૂર કર્યાની લેખિત જાણ મિલકત ઉપર હક્ક પ્રાપ્ત કરનારને કરવામાં આવે છે. આમ રજિસ્ટર્ડ થયેલા દસ્તાવેજોની બાબતમાં મિલકત ઉપર હક્ક પ્રાપ્ત કરનારને કોઈ અરજી કરવાનું જરૂરી નથી. પરંતુ કચેરીઓમાં તેનો અમલ થતો નથી અને નિયત  નમુનામાં મિલકત પ્રાપ્ત કરનારે પુરાવા સહિત અરજી કરવી પડે છે જેથી આમ રજિસ્ટર્ડ દસ્તાવેજોની નોંધ સિટી સરવે કચેરીમાં બારોબાર સબ રજિસ્ટ્રારના ઉતારા ઉપરથી થઈ જવી જોઈએ છતાં તેની નોંધ થતી નથી. દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવવામાં આવે ત્યારે જો સિટી સરવે રેકર્યના પ્રોપર્ટી કાર્ક ઉપરથી વોર્ડ નંબર, ટીકા નંબર, સિટી સર્વે નંબર, ક્ષેત્રફળની ખાતરી કર્યા વિના દસ્તાવેજ રજિસ્ટર્ડ કરવામાં આવે છે, તેથી વોર્ડ નંબર, સિટી સરવે નંબર, ક્ષેત્રફળ વગેરે દસ્તાવેજમાં ખોટા દર્શાવેલા હોય તો નોંધ કરી શકાતી નથી. કેટલાક કિસ્સાઓમાં દસ્તાવેજ કરી આપનારનાં નામો પ્રોપર્ટી કાર્ડમાં ચાલતાં નામો કરતાં જુદાં જ હોય છે, તેથી પણ આવા દસ્તાવેજોની નોંધ કરી શકાતી નથી.

નોંધ:-(જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‹નવગુજરાત સમય ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...