1.16.2024

જમીન મહેસૂલ કાયદાઓ હેઠળ લેવામાં આવતી ઓનલાઈન પરવાનગીઓમાં પારદર્શીતાનો અભાવ

 



- લોકાભિમુખ માર્ગદર્શન - - એચ.એસ. પટેલ IAS (નિ.)

- જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઈઓ મુજબ 'ખેડૂત ખાતાવહી'નો કાયદેસરનો દસ્તાવેજ આપવો જરૂરી

(ગતાંકથી ચાલુ...)

ગત લેખમાં મહેસૂલ વિભાગ દ્વારા જુદા જુદા કાયદાઓ હેઠળ ઓનલાઈન પરવાનગીઓ દાખલ કરવામાં આવી છે. તેમાં ૧૯૫૧થી મહેસૂલી રેકર્ડથી જમીન ઉપરનું ટાઈટલ વેરીફીકેશન તેમજ જુદા જુદા મુદ્દાઓ ઉપર સમયમર્યાદામાં અરજીઓના નિકાલના ભાગરૂપે અરજીઓ નામંજૂર કરવામાં આવે છે તે અંગે જણાવવામાં આવેલ, જે મુદ્દાઓ ઉપર ઓનલાઈન બિનખેતી, નવીશરતની પરવાનગી, ખેડૂત ખરાઈ પ્રમાણપત્રો વિગેરે મુખ્ય બાબતો આવે છે. તે ઉપરાંત નામંજૂર કરવાના કારણોમાં અગાઉની પ્રમાણિત હક્કપત્રકની નોંધો / હુકમો રીવીઝનમાં લેવાના મુદ્દા ઉપર ક્ષેત્રફળમાં તફાવત, સ્ટેમ્પ ડયુટી ઓછી લેવાના મુદ્દા વેચાણથી રાખનાર બિનખેડૂત અથવા તો હાલના કબજેદાર ખેતીની જમીન ધારણ કરે છે તે સીધી લીટીના વારસદાર વિગેરે Querry પ્રશ્નો ઉપસ્થિત કરી અરજીઓનું Rejection થાય છે. જેથી સરકારનો પારદર્શક વહીવટ અથવા સમયમર્યાદામાં નિકાલ કરવાનો ઉદ્દેશ મોટા ભાગે નિષ્ફળ થાય છે.

ખાસ કરીને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અથવા તો ધારણકર્તા ખેડૂત ખાતેદારના ઉત્તરોત્તર પૂર્વજોને ખેડૂત હતા તે મુદ્દા ઉપર - ૧૯૫૧થી રેકર્ડથી ખાત્રી કરવામાં આવે છે. ખરેખર તો સબંધિત ખાતેદારની નોંધ જે તે સમયના પ્રમાણિત અધિકારી દ્વારા કરવામાં આવી હોય છે એટલે લાંબાગાળા બાદ જ્યારે બિનખેતીની પરવાનગી અથવા તો નવી શરતની પરવાનગી ઉપરાંત ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપવાના તબક્કે અગાઉની નોંધોની ચકાસણી કરી, અરજીઓ નામંજૂર કરવામાં આવે છે તે ન્યાયોચિત નથી. Burden of Proof સાબિત કરવાની જવાબદારી એટલે કે જમીનના ધારકની ખેતીની જમીન ધારણ કરવાની પાત્રતા અથવા તો પ્રાપ્ત કરેલ હક્ક નોંધ પ્રમાણિત અધિકારી દ્વારા નોંધ મંજૂર કરવામાં આવે છે તે આધારે થાય છે. જેથી કાયદા વિરૂધ્ધની નોંધ મંજૂર કરી આપનાર અધિકારી (મહેસૂલી અધિકારી) જવાબદાર ગણાય. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન મહેસૂલ અધિનિયમમાં પ્રકરણ-૧૦માં ઉમેરો કરી ખાતેદારને ખેડૂત ખાતાવહીને કાયદેસરનો દરજ્જો આપ્યો છે અને આ ખાતાવહી ખેડૂત ખાતેદારને આપવાની તેમાં ખાતેદાર ધારણ કરેલ જમીનો અદ્યતન નોંધ સહિત આપવાની જોગવાઈ કરવામાં આવી છે અને આ ખેડૂતવહીને તમામ કાયદાકીય ઉપયોગ માટે માન્ય રાખવામાં આવી છે ત્યારે આજ દસ્તાવેજને ખેડૂત ખરાઈ તરીકે કેમ માન્ય રાખવામાં આવતું નથી. વિશેષમાં તાજેતરમાં સરકારે જાહેર કર્યા મુજબ જમીન જો પ્રણાલીકાગત મોટા ભાઈના નામે ચાલતી હોય તો સીધી લીટીના કાયદેસરના વારસોમાં ભાઈઓ, બહેનો અને તેમના બાળકોનો સમાવેશ થાય છે અને તેઓ દ્વારા ખેતીની જમીન ધારણ કરતા હોય તો તેઓને ખેડૂત ખાતેદાર ગણવા જોઈએ અને આવા કાયદેસરના ખેડૂતોને પણ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી અનુભવાય છે. મહેસૂલ વિભાગે ૨૦૧૬માં વડીલોપાર્જીત ખેતીની જમીનમાં હયાતીમાં કૌટુંમ્બિક વહેંચણી, હક્કકમી, હયાતીમાં નામ દાખલ કરવાની જોગવાઈ કરેલ છે અને આ માટે કોઈ રજીસ્ટર્ડ દસ્તાવેજ કરવાની જરૂર નથી. સરકારે સ્પષ્ટતા કર્યા મુજબ રૂ. ૩૦૦/- સ્ટેમ્પ પેપર ઉપરની એફીડેવીટના આધારે આ કાર્યવાહી કરી હક્કપત્રકમાં નોંધ પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં ભારતીય વારસા અધિનિયમમાં કુટુંમ્બના કર્તા જયેષ્ઠ પુત્ર હોય તો તેમાં તમામ કાયદેસરના વારસોનો Devolution of Rightsના અધિકાર મુજબ હક્ક પ્રાપ્ત થાય છે.

આ ઉપરાંત કલેક્ટરશ્રી દ્વારા ઉક્ત વર્ણવેલ જુદી જુદી કાયદાની જોગવાઈઓના ભંગ બદલ હક્કપત્રકની નોંધો રીવીઝનમાં લેવાનું જણાવી અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. તેમાં ગુજરાત હાઈકોર્ટના Evergreen Apartment બરોડા અને લક્ષ્મીનારાયણ સોસાયટીના કિસ્સામાં સ્પષ્ટ જણાવ્યું કે મહેસૂલી કાયદાઓમાં જેમ કે જમીન મહેસૂલ અધિનિયમ, ગણોતધારો, ટોચમર્યાદા ધારો વિગેરે કાયદાઓમાં સબંધિત કાયદામાં જ રીવીઝન / રીવ્યુની જોગવાઈ કરવામાં આવી છે. 

જેથી કલેક્ટરશ્રી હક્કપત્રકની નોંધો જે અંગે હક્કપત્રકના નિયમો હેઠળ મંજૂર કરી છે. તે નોંધના કારણોસર જુદા જુદા કાયદાની જોગવાઈઓના ભંગ બદલ કાર્યવાહી ન થઈ શકે. દા.ત. - કોઈ બિનખેડૂતની નોંધ હક્કપત્રકના નિયમો હેઠળ મંજૂર કરી હોય તો તેના ભંગ બદલની કાર્યવાહી ગણોતધારાની કલમ-૬૩ના ભંગ બદલ મામલતદાર અને ગણોતધારાની કલમ-૬૩ના ભંગ બદલ મામલતદાર અને કૃષિપંચ દ્વારા - ૮૪સીની કાર્યવાહી કરવાની છે.

ભારત સરકાર દ્વારા જુદા જુદા રાજ્યોમાં જમીન મહેસૂલ કાયદાઓ અને કબજેદારોને જમીન ઉપર હક્ક આપવાની અને મહેસૂલી રેકર્ડ નિભાવવાની અલગ અલગ પધ્ધતિઓ છે એટલે ૨૦૦૮માં “Right to Land Title”ની આપવા માટે Model Act ઘડીને મોકલેલ, રાજસ્થાન જેવા રાજ્યએ આવા પ્રકારનો કાયદો ઘડેલ છે. 

જ્યારે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યએ “Right to Revenue Title” ની જેવો કાયદો ઘડવામાં કોઈક કારણસર ઉદાસીનતા દાખવી છે. હાલ જ્યારે જમીન મહેસૂલને લગતુ તમામ રેકર્ડ કોમ્પ્યુટરાઈઝેશન કરી ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને જ્યારે આ રેકર્ડ પ્રાન્ત અધિકારીઓ દ્વારા પ્રમાણિત જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સાચા ખેડૂત ખાતેદારોના હિતમાં વિના વિલંબે જમીન ઉપરનો હક્ક આપતો (સ્વર્તાપણ) કાયદો ઘડાય અને લાગુ કરવામાં આવે તો Finality સ્વરૂપે કબજેદાર ધારણ કરેલ જમીન “Free Title” તરીકે ગણી શકાય અને ઉપર જણાવેલ કિસ્સાઓમાં બિનખેતીની પરવાનગી કે ખેતીની જમીનોના વેચાણ, તબદીલી પ્રસંગે કે નવી શરતની જમીન જૂની શરતની ફેરવવાના તબક્કે, પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ માટે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫ખ કે ગણોતધારાની કલમ-૬૩એએ હેઠળની પરવાનગી પણ સરળતાથી મળી શકે. સરકાર દ્વારા જ્યારે વહીવટમાં સુધારાનો (Reforms) અભિગમ અપનાવવામાં આવેલ છે, તેવું જાહેર કરવામાં આવે છે ત્યારે “Right to Revenue Title” ની ઘડવામાં આવે તો જ સાચા અર્થમાં પારદર્શક અને સરળીકરણનો ઉદ્દેશ સિધ્ધ થશે.

(સંપૂર્ણ)

જેને માટે દાવા ચાલતા હોય એવી મિલકત તબદિલ થઇ શકે નહીં

 

જે તે મિલકત પરનું લ્હેણું ડૂબાડવા કે તેને ચુકવવામાં વિલંબ થાય તો લ્હેણદાર તેની તબદિલી અટકાવી શકે છે


તમારી જમીન,  તમારી મિલકત

 - નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

આજના લેખમાં મિલક્ત તબદિલી અધિનિયમ-૧૮૮૨ ની કેટલીક વિશિષ્ટરૂપની અંગેનું જોગવાઈઓ વિષે જાણીશું.

મિલક્તની તબદિલીથી ઉત્પન્ન કરેલા હક્કોની અગ્રતા : એક જ મિલકત જુદે જુદે વખતે-સમયે તબદિલ કરીને તેમાં અથવા તે ઉપર કોઈ વ્યકિતએ હકક ઊભો કર્યાનું અભિપ્રેત થતું હોય, અને એવા તમામ હક્ક એક સાથે અસ્તિત્વમાં ન રહી શકે અથવા તેનો સંપૂર્ણપણે એક સાથે અમલ થઈ શકે તેમ ન હોય ત્યારે પાછળથી ઊભો કરેલો દરેક હક્ક, આગળની તબદિલીથી લેનારાઓને બંધનકર્તા કોઈ ખાસ કરાર અથવા શરત ન હોય તો, અગાઉ ઊભા કરેલા હકકોને અધીન રહેશે.

મિલકતની વીમા પોલિસીની રૂએ તબદિલીથી મેળવનારનો હકક: કોઈ સ્થાવર મિલકત અવેજસર તબદિલ કરવામાં આવે અને તબદિલીની તારીખે એવી મિલકતનો કે તેના કોઈ ભાગનો આગથી થતી નુકસાની અથવા હાનિ સામે વીમો ઉતરાવેલો હોય તો એવી નુકસાની કે હાનિ થાય તે પ્રસંગે, તબદિલીથી મેળવનાર, વિરુદ્ધનો કરાર ન હોય ત્યારે, તે પોલિસી હેઠળ તબદિલી કરનારને મળે તે રકમ અથવા તેમાંથી જરૂરી હોય એટલી ૨કમ તે મિલક્તને મૂળ સ્થિતિમાં મૃકવા માટે વાપરવામાં આવે એવી ફરજ પાડી શકે. ખામીવાળા માલિકીહક્ક હેઠળ મિલકત

ધરાવનારને શુઘ્ધબુદ્ધિથી ચૂકવેલું ભાડું: કોઈ વ્યક્તિએ પોતે જેની પાસેથી કોઈ મિલકત શુધ્ધબુધ્ધિથી ધરાવી હોય તેને શુઘ્ધબુધ્ધિથી ભાડું ચુકવ્યું હોય અથવા નફો આપ્યો હોય ત્યારે, તેણે જેને ભાડું ચૂકવ્યું હોય અથવા નફો આપ્યો હોય તે વ્યકિતને ભાડું અથવા નફો મેળવવાનો હકક ન હતો એવું પાછળથી જણાય તો પણ એવા ભાડાની કે નફાની રકમ માટે તે જવાબદાર રહેશે નહીં.

ઉદાહરણ :- ”5” ૫૦ રૂપિયાના ભાડેથી ”ખ” ને એક ખેતર ભાડે આપે છે અને પછી તે ખેતર ”ગ” ને તબદિલ કરે છે. ”ખ” ને આ તબદિલીની જાણ નથી અને શુઘ્ધબુધ્ધિથી ને ભાડું ચૂકવે છે. એ રીતે ચૂકવેલા ભાડા માટે ”ખ” જવાબદાર ગણાય નહિ.

ખામીવાળા હકક હેઠળ શુઘ્ધબુધ્ધિથી મિલકત ધરાવનારે કરેલો સુધારો ઃ  કોઈ સ્થાવર મિલક્ત તબદિલીથી મેળવનાર, તે મિલકતનો પોતે સંપૂર્ણ રીતે હક્કદાર છે એમ શુધ્ધબુધ્ધિપૂર્વક માનીને તેમાં કોઈ સુધારો કરે અને ત્યારપછી વધુ સંગીન હકક ધરાવનાર કોઈ વ્યક્તિ તેની પાસેથી તે મિલકત ખાલી કરાવે ત્યારે, પોતે કરેલ સુધારાના ખર્ચનો અંદાજ કરાવી તે રકમ પોતાને આપવાની અથવા સુનિશ્ચિત કરી આપવાની ખાલી કરાવનાર વ્યકિતને ફરજ પાડવાનો અથવા એવો સુધારો ગમે તે કિંમતનો હોય તો પણ તે મિલકતની તે વખતની બજાર કિંમતે તેમાંનું તેનું હિત પોતાને વેચવાની તેને ફરજ પાડવાનો તબદિલીથી મેળવનારને હકક છે.  એવા સુધારા અંગે આપવાની અથવા સુનિશ્ચિત કરી આપવાની રકમ મિલકત ખાલી કરાવવામાં આવે તે વખતે અંદાજેલા સુધારાના ખર્ચ બરાબર રહેશે. ઉપર જણાવેલ સંજોગોમાં તબદિલીથી મેળવનારે તે મિલકત ઉપર કોઈ પાક કર્યો વાવ્યો હોય અને ખાલી કરાવતી વખતે તે પાક ઉભો હોય, તો એવા પાક માટે તેમજ તે લણવા અને લઈ જવા માટે તે મિલકતમાં છુટથી આવવા જવાનો હકક છે.

મિલકત સંબંધી ચાલુ દાવા દરમિયાન તેની તબદિલી: જમ્મુ અને કાશ્મીર રાજય સિવાયના ભારતની હદમાં સત્તા ધરાવતી અથવા એવી હદ બહાર કેન્દ્ર સરકારે સ્થાપેલા કોઈ ન્યાયાલયમાં જે કપટયુક્ત ન હોય અને જેમાં સ્થાવર મિલકતનો કોઈ હકક સીધી રીતે અને ખાસ કરીને વાદગ્રસ્ત હોય તેવો દાવો અથવા કાર્યવાહી ચાલુ હોય તે દરમિયાન તેના કોઈ પક્ષકારથી, તે ન્યાયાલયના અધિકાર હેઠળ અને ન્યાયાલય ઠરાવે તેવી શરતે હોય તે સિવાય, તેના બીજા પક્ષકારોના લાભમાં તે દાવામાં જે હુકમનામા કે હુકમ થાય તે હેઠળના હકકને અસર પહોંચે એ રીતે, તે મિલકત તબદિલ કરી શકાશે નહિ અથવા અન્યથા તેની વ્યવસ્થા કરી શકાશે નહિ.

સ્પષ્ટીકરણ: આ કલમના હેતુઓ માટે, કાયદેસર સત્તા ધરાવતા કોઈ ન્યાયલયમાં દાવા અરજી રજૃ કરવાની અથવા કાર્યવાહી માંડવાની તારીખથી તે દાવા અથવા કાર્યવાહી ચાલુ થયેલ ગણાશે, અને આખરી હુકમનામાથી કે હુકમથી તે દાવાનો અથવા કાર્યવાહીનો નિકાલ કરવામાં આવે અને એવા હુકમનામાનો કે હુકમનો સંપૂર્ણ રીતે અમલ થઈ જાય, અથવા તે અંગેની જવાબદારી અદા થઈ જાય, અથવા તે સમયે અમલમાં હોય તેવા કાયદાથી તેની બજવણી માટે ઠરાવેલી મુદત વીતી જવાને કારણે તેમ કરાવી શકાય નહિ, ત્યાં સુધી તે દાવો અથવા કાર્યવાહી ચાલુ છે એમ ગણાશે.

ક્પટપૂર્વક કરેલી તબદિલીઃ

(૧) તબદિલી કરનારના લેણદારોનું લેણું ડુબાડવાના અથવા તે ચૂકવવામાં વિલંબ કરવાના ઈરાદાથી કરવામાં આવેલી સ્થાવર મિલક્તની દરેક તબદિલી, જેનું લેણું એ રીતે ડુબાડવામાં આવ્યું હોય અથવા તે ચૂકવવામાં વિલંબ કરવામાં આવ્યો હોય તે લેણદાર જો ઈચ્છે તો રદ કરી શકાય એવી તબદિલી છે. શુધ્ધબુધ્ધિથી અને અવેજસર તબદિલીથી લેનારના હકક્ને આ પેટા કલમના કોઈ પણ મજકૃરથી નુક્સાન અસર થશે નહીં. આ પેટા કલમના કોઈપણ મજકુરથી તે સમયે અમલમાં હોય એવા નાદારી સંબંધી કોઈ કાયદાને અસર પહોંચશે નહીં. તબદિલી કરનારના લેણદારોનું લેણું ડુબાડવાના અથવા તે ચૂકવવામાં વિલંબ કરવાના ઈરાદાથી કોઈ તબદિલી કરવામાં આવી હોવાને કારણે તેને રદ કરાવવા માટે કોઈ લેણદારનો (પોતાના હુકમનામાની બજવણી માટે અરજી કરી હોય કે ન કરી હોય તેવું હુકમનામું ધરાવનાર સહિત) દાવો તમામ લેણદારો વતી અથવા તેમના લાભાર્થે માંડવો જોઈશે.

(૨) પછીની તબદિલીથી મેળવનાર સાથે કપટ કરવાના ઈરાદાથી અવેજ વિના કરેલી સ્થાવર મિલકતની દરેક તબદિલી, તબદિલીથી મેળવનાર ઈચ્છે તો રદ કરી શકે છે. આ પેટા કલમના હેતુઓ માટે અવેજ વિના કરેલી કોઈપણ તબદિલીથી પછીથી અવેજસર તબદિલી કરી હોવાને કારણે જ કપટ કરવાના ઈરાદાથી કરવામાં આવી હતી એમ ગણાશે નહિ. 

કરાતું આંશિક પાલન: કોઈ વ્યકિત પોતે અથવા પોતાના વતી સહી કરેલા લખાણથી કોઈ સ્થાવર મિલકત અવેજસર તબદિલ કરવાનો કરાર કરે અને તે ઉપરથી તબદિલી થવા માટેની જરૂરી શરતો વ્યાજની ચોકસાઈ સાથે નકકી કરી શકાય તેમ હોય અને તબદિલીથી મેળવનારે તે કરારના આંશિક પાલનમાં તે મિલકત અથવા તેના કોઈ ભાગનો કબજો લીદ્યો હોય અથવા પોતે અગાઉથી કબજો ધરાવતો હોય અને કરારના આંશિક પાલનમાં કબજો ધરાવવાનું ચાલુ રાખે અને કરારનો વધુ અમલ ડરવા માટે તેણે કંઈ કૃત્ય કર્યું હોય, અને તબદિલીથી મેળવનારે કરારના પોતાના ભાગનું પાલન કર્યું હોય અથવા કરવા માટે પોતે તૈયાર હોય, તબદિલી અંગેનું ખત હોય ત્યારે, તે વખતે અમલમાં હોય તેવા કોઈ કાયદાથી તે માટે ઠરાવેલી રીતે સદરહુ તબદિલી પૃરી કરવામાં આવી ન હોય તે છતાં તબદિલ કરનારને અથવા તેની પાસેથી હકક પ્રાપ્ત કરનાર તબદિલીથી મેળવનાર સામે અને તેની પાસેથી હક્ક પ્રાપ્ત કરનારા સામે જે મિલકતનો તબદિલીથી લેનાર કબજો લીદ્યો હોય અથવા કબજો ધરાવવાનું ચાલુ રાખ્યું હોય તે મિલક્ત અંગે તે કરારની શરતોથી સ્પષ્ટ રીતે જોગવાઈ કરેલા હકક સિવાયના કોઈ હુકમનો અમલ કરાવવામાં બાધ આવશે. પરંતુ તે કરારની અથવા તેના આંશિક પાલનની જેને જાણ ન હોય એવા અવેજસર તબદિલીથી મેળવનારના હકકને આ વિગતના કોઈપણ મજકુરથી અસર થશે નહીં.

નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...