8.28.2022

ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીનોનું વેચાણ, તબદીલી, ગીરો વિગેરે માટે કલમ-૩૬માં ચેરીટી કમિશ્નરની મંજૂરી સિવાય તબદીલી કરી શકાતી નથી

 

ટ્રસ્ટો દ્વારા ધારણ કરેલ સ્થાવર / જંગમ મિલ્કતની જોગવાઇઓ અંગે

પબ્લિક ટ્રસ્ટ એક્ટ -૧૯૫૦ હેઠળ નોંધાયેલ

- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

- ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીનોનું વેચાણ, તબદીલી, ગીરો વિગેરે માટે કલમ-૩૬માં ચેરીટી કમિશ્નરની મંજૂરી સિવાય તબદીલી કરી શકાતી નથી

- ટ્રસ્ટ દ્વારા ધારણ કરેલ સ્થાવર મિલ્કતની તબદીલીમાં કલમ-૩૬ હેઠળ ચેરીટી કમિશ્નરની મંજૂરી જરૂરી

મહાત્મા ગાંધીજી દ્વારા જુદા-જુદા આદર્શો (Ideals) પ્રસ્થાપિત કર્યા, તેમાં ટ્રસ્ટીશીપ (વાલીપણું)નો અભિગમ અપનાવવા અનુરોધ કરતાં, જેને સાદી ભાષામાં 'મહાજન' તરીકે પણ ઉપયોગ થતો એટલે કે સુખી સાધન સંપન્ન વ્યક્તિ/ સંસ્થા. જરૂરીયાતમંદને સર્વોદયની ભાવનાથી મદદરૂપ થાય, આધુનિક મેનેજમેન્ટંની ભાષામાં CSR – Corporate Social Responsibility તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજી શબ્દ “Trust” એટલે કે વિશ્વાસ થાય, પરંતુ બૃહદ સ્વરૂપે જોવામાં આવે તો જેનામાં વિશ્વાસ મુકવામાં આવ્યો છે તે વ્યક્તિ / સંસ્થા બીજાને જે સાધનો સુપ્રત કર્યા છે તેનાથી ઉપયોગ થવા માટેનું કામ કરે. આ વિભાવનાને કાયદાકીય સ્વરૂપ આપવા માટે મુંબઈ રાજ્યમાં હાલના ગુજરાત સહિત પબ્લિક ટ્રસ્ટ એક્ટ-૧૯૫૦ ઘડવામાં આવ્યો. જે હાલ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ તરીકે ઓળખાય છે અને આ ટ્રસ્ટ અધિનિયમ હેઠળ ચેરીટી કમિશ્નર સમક્ષ ટ્રસ્ટની નોંધણી કરાવવાની હોય છે અને ટ્રસ્ટની નોંધણી કરતાં પહેલાં ટ્રસ્ટના ઉદ્દેશો અને હેતુઓ સાથે બંધારણ ઘડવામાં આવે છે અને ટ્રસ્ટનું સંચાલન કઈ રીતે કરવામાં આવશે તે બાબતો જણાવવામાં આવે છે. ટ્ર્રસ્ટના નિયમન માટે ચેરીટી કમિશ્નરના નિયંત્રણ હેઠળ કાયદાકીય જોગવાઈ પ્રમાણે ટ્રસ્ટનો વહીવટ થાય છે કે કેમ તે જોવાનું હોય છે. મોટાભાગે ટ્રસ્ટનો વહીવટ સ્વાયત સ્વરૂપે થતો હોય છે કારણ કે ટ્રસ્ટના ઉદ્દેશો મુજબ કામગીરી થાય છે કે કેમ તે જોવાની પ્રાથમિક જવાબદારી ટ્રસ્ટીઓની અને તેના હોદ્દેદારોની હોય છે. 

પબ્લિક ટ્રસ્ટના બંધારણની જોગવાઈ પ્રમાણે તેના હેતુઓ સિદ્ધ કરવા અથવા તે અંતર્ગત જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક  જે પ્રવૃત્તિઓ હાથ ધરવાની હોય તે માટે જે સ્થાવર અને જંગમ મિલ્કત હોય તેનું સંચાલન પણ કરવાનું હોય છે અને ટ્રસ્ટ એક્ટની કલમ-૩૦ અન્વયે ટ્રસ્ટ જે મિલ્કત ધારણ કરતું હોય તેની નોંધ ચેરીટી કમિશ્નરની કચેરીના પી.ટી.આર. રજીસ્ટર ઉપર નોંધ કરવાની હોય છે. આજકાલ એવું પણ આચરણ થતું હોવાના ધ્યાન ઉપર આવે છે કે, જૂના ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીન / મિલ્કતમાં અન્ય ટ્ર્રસ્ટીઓના નામ દાખલ કરી જમીન / મિલ્કતનો ઉપયોગ પણ મૂળ હેતુના બદલે અન્ય હેતુ માટે થાય છે. રાજાશાહી વખતમાં ઘણા ગામોમાં દેવસ્થાન તરીકે ચાલતી જમીનોમાં પુજારીના નામ બીજા હક્કમાં દર્શાવવાના બદલે અગ્રહક્કમાં બતાવી ખેડુતનો હોદ્દો ધારણ કરી આવી જમીનો વેચાઈ ગઈ છે જે અંગે અમો કલેક્ટર રાજકોટ હતા ત્યારે આ બાબત ધ્યાનમાં આવતા સરકારના મહેસૂલ વિભાગે ૨૦૧૦માં પરિપત્ર કરી બારખલી કાયદા હેઠળ આવી જમીનો દેવસ્થાન દીવેલીયા તરીકે ઓળખાતી જમીનોનો વહીવટી ટ્રસ્ટ તરીકે લેવો અને જો ન હોય તો અથવા આવી જમીનોનું વેચાણ થયેલ હોય તો જમીન સરકાર હસ્તક દાખલ કરવાના હુકમો કરેલ છે. આ બાબતમાં ચેરીટી કમિશ્નરે પણ ટ્રસ્ટોની કે દેવસ્થાન હેઠળની જમીનો પરવાનગી વગર તબદીલ ન થાય તે માટે સુચનાઓ આપી છે.

પબ્લિક ટ્રસ્ટ અઘિનિયમની જોગવાઈઓ મુજબ કલમ-૩૨ હેઠળ તેના હિસાબો નિભાવવાના હોય છે અને તેનું વાર્ષિક ઓડિટ નાણાંકીય વર્ષ પૂરૂં થયાના 'છ' માસમાં ઓડિટેડ એકાઉન્ટ મંજૂર કરવાના થાય છે. સૌથી અગત્યની બાબત એ છે કે ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીનોનું વેચાણ, તબદીલી, ગીરો વિગેરે માટે કલમ-૩૬માં ચેરીટી કમિશ્નરની મંજૂરી સિવાય તબદીલી કરી શકાતી નથી. આ અંગેની પણ કાર્યપદ્ધતિ છે તે અનુસર્યા બાદ ચેરીટી કમિશ્નર દ્વારા મંજૂરી કે નામંજૂર કરતો હુકમ કરવામાં આવે છે. ચેરીટી કમિશ્નરના હુકમ સામે ગુજરાત મહેસૂલ પંચ (GRT) સમક્ષ અપીલ કરવાની જોગવાઈ છે. આજ રીતે ટ્રસ્ટ અધિનિયમની કલમ-૩૫માં ટ્રસ્ટના નાણાંના રોકાણ અંગેની જોગવાઈઓ છે અને તે મુજબ સામાન્ય રીતે રાષ્ટ્રીયકૃત બેંકો, પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાની જોગવાઈઓ છે, તે ઉપરાંત સહકારી બેંકોમાં રાજ્ય સરકારની મંજૂરીને આધીન રોકાણ કરી શકાય છે. અત્યારના પ્રવર્તમાન નિયમો મુજબ દરેક ટ્રસ્ટોને પણ ઈન્કમટેક્ષ રીટર્ન ઓનલાઈન ફાઈલ કરવાની જોગવાઈઓ છે તે સાથે કોર્પોરેટ સોસીયલ રીસ્પોન્સીબીલીટી હેઠળ ટ્રસ્ટે ફંડ મેળવવું હોય તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે તે સાથે વિદેશી ફંડ / દાન મેળવવા માટે ભારત સરકારના FCRA હેઠળ મંજૂરી મેળવવી જરૂરી છે અને વિદેશથી મળતો ફંડ / દાન જમા કરાવવા માટે કેન્દ્રમાં એસ.બી.આઈ.માં નિયત કરેલ બ્રાન્ચમાં ખાતુ ખોલાવવું જરૂરી છે.

અગાઉ કોઈ સાર્વજનિક ટ્રસ્ટને શૈક્ષણિક હેતુ કે આરોગ્ય વિષયક હેતુ માટે મેડીકલ કોલેજ કે હોસ્પિટલ માટે બિનખેડૂત સંસ્થા તરીકે ગણોતધારાની કલમ-૬૩ હેઠળની મંજૂરી મેળવવી જરૂરી હતી, પરંતુ સરકારે શૈક્ષણિક અને આરોગ્ય વિષયક પ્રવૃત્તિ માટે જેમ પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે સીધેસીધા કલેક્ટરની મંજૂરી સિવાય જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫ખ અને ગણોતધારાની કલમ-૬૩એએ હેઠળ જમીન ખરીદી શકે છે. ફક્ત તેની જાણ ૩૦ દિવસમાં કલેક્ટરશ્રીને કરવાની હોય છે. આજ રીતે જમીન સુધારા કાયદા ગણોતધારો અને ખેતીની જમીન ટોચમર્યાદા અમલમાં આવ્યા તે પહેલાં ઘણા ટ્રસ્ટો ખેતીની જમીન ધારણ કરતા હતા. આવા ટ્રસ્ટોને આવી જમીનો ઉપર ગણોતીયાના હક્ક પણ ઉપસ્થિત ન થાય તે માટે કલમ-૮૮બીની મુક્તિ આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. તેજ રીતે પાંજરાપોળ અને અન્ય ટ્રસ્ટોને તેઓએ ધારણ કરેલ ખેતવિષયક જમીનમાં ખેત જમીન ટોચ મર્યાદામાં પણ મુક્તિ આપવામાં આવેલ છે. 

આમ સાર્વજનિક હેતુ માટે જે ટ્રસ્ટોની રચના કરવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય હેતુ સામાજિક, શૈક્ષણિક કે અન્ય સખાવતી પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે કાયદાકીય પીઠબળ ધરાવતું વ્યવસ્થાતંત્ર છે. જેમાં ઉપર જણાવેલ બાબતો ટ્રસ્ટના આદર્શ સંચાલન માટે જાણવી જરૂરી છે.

જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર  ફોલો,અને સબસ્કાઇબ કરવું

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...