4.17.2023

GST on Rent: શું તમારે પણ ભાડાકરાર પર આપવો પડશે ટેક્સ? જાણો શું કહે છે GSTનો નવો નિયમ

 

જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ભાડા પર જીએસટી સાથે જોડાયેલા નિયમો સામેલ છે. જેના કારણે લોકોમાં અસમંજસની સ્થિતિ છે.


  • મકાન ભાડે લેવા માટે પણ GST લાગશે
  • ભાડુઆતને ભાડા પર 18 ટકા જીએસટી
  • અમુક સંજોગોમાં લાગશે ભાડા ટેક્સ 

જીએસટી કાઉન્સિલની તાજેતરમાં મળેલી બેઠકમાં જીએસટીના નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ફેરફારો 18 જુલાઇથી અમલમાં આવ્યા હતા. જેમાં ભાડા પર જીએસટી સાથે જોડાયેલા નિયમો સામેલ છે. 17 જુલાઇ સુધી ભાડા પર જીએસટીની કોઇ વ્યવસ્થા નહોતી. પરંતુ જીએસટી કાઉન્સિલની ભલામણો બાદ 13 જુલાઇના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં ભાડા પર જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. જો કે, ભાડા પરનો ટેક્સ અમુક સંજોગોમાં જ વસૂલવામાં આવશે. જો તમે નોકરી કરો છો અને તમે ફ્લેટ ભાડે લીધો છે, તો તમારે ભાડા પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. જાણો જીએસટી અંતર્ગત રિવર્સ ચાર્જ મિકેનિઝમ (RCM) હેઠળ કોને ભાડા પર ટેક્સ આપવો પડશે.

શું છે નિયમ?
18 જુલાઈથી લાગુ થયેલા નવા નિયમો હેઠળ જો કોઈ અનરજિસ્ટર્ડ વ્યક્તિ (નોકરીયાત વ્યક્તિ કે નાનો બિઝનેસમેન) જીએસટી હેઠળ નોંધાયેલ વ્યક્તિને પોતાનો ફ્લેટ ભાડે આપે છે તો ભાડા પર જીએસટી લાગશે. રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ભાડુઆતને ભાડા પર 18 ટકા જીએસટી આપવો પડશે. સાથે જ તેના પાલન સાથે જોડાયેલી ઔપચારિકતાઓ પણ તેમણે પૂરી કરવાની રહેશે. ટેક્સના નિયમો હેઠળ, વ્યક્તિનો અર્થ માત્ર વ્યક્તિગત જ નથી થતો, પરંતુ તે એક વિસ્તૃત ટર્મ છે અને તેમાં કંપનીઓ તેમજ તમામ કાનૂની સંસ્થાઓનો સમાવેશ થાય છે
સવાલો કેમ ઉઠી રહ્યા છે?
જે લોકોને પગાર મળે છે તેમને જીએસટી રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી. ઉપરાંત, તમામ ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો અને વ્યવસાયિક સંસ્થાઓને નોંધણીની જરૂર હોતી નથી. જો કોઈ સર્વિસ પ્રોવાઈડરનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ રૂપિયા હોય તો તેણે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ગુડ્સ સપ્લાયર્સ માટે આ મર્યાદા 40 લાખ રૂપિયા છે. પરંતુ ઘણા કિસ્સામાં આથી ઓછું ટર્નઓવર ધરાવતા લોકોએ જીએસટી પણ નોંધાવ્યો છે. આ એટલા માટે છે કારણ કે આ તેમના ગ્રાહકો અથવા ગ્રાહકોને સપ્લાય ચેઇનમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવાની મંજૂરી આપે છે. સોશિયલ મીડિયામાં જીએસટી  કોના પર લાગશે અને કોના પર નહીં થાય તે અંગે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. ત્રણ ઉદાહરણમાં તેને સમજવાનો પ્રયત્ન કરીએ.

ઉદાહરણ નંબર 1 
માની લ્યો કે કોઈ બિઝનેસ કન્સલ્ટન્ટ જીએસટી હેઠળ રજિસ્ટર્ડ છે. તેણે એક અનરજીસ્ટર્ડ વ્યક્તિ પાસેથી પોતાના અને તેના પરિવાર માટે એક ફ્લેટ ભાડે રાખ્યો છે. એક સીએ ફર્મના ફાઉન્ડર સુનીલ ગાબાવાલાના જણાવ્યા અનુસાર, જો બિઝનેસ કન્સલ્ટન્ટ પોતાના આઇટીઆરમાં ભાડાનો દાવો નહીં કરે તો રિવર્સ ચાર્જ મિકેનિઝમ લાગુ નહીં પડે. વર્ક ફ્રોમ હોમે તેમાં મૂંઝવણ ઉભી કરી છે. ગાબાવાલાએ જણાવ્યું હતું કે, જો કોઈ પ્રોફેશનલ કે ગિગ વર્કર જીએસટી હેઠળ રજિસ્ટર્ડ હોય અને એકમાત્ર માલિક તરીકે પોતાની સેવાઓ આપે તો તેણે પોતાના નામે રહેણાંકની મિલકત ભાડે ન લેવી જોઈએ. આનાથી તેને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વિવાદથી બચવામાં મદદ મળશે. જો ભાડુઆત જીએસટી હેઠળ રજિસ્ટર્ડ નહીં હોય તો રિવર્સ ચાર્જ મિકેનિઝમ લાગુ નહીં પડે.

ઉદાહરણ નંબર 2 
જો કોઈ કંપનીએ તેના કોઈ કર્મચારી અથવા ડિરેક્ટર માટે ફ્લેટ ભાડે લીધો હોય અને મકાનમાલિક જીએસટીમાં નોંધાયેલ નથી. આવા કિસ્સામાં કંપનીએ રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ભાડા પર જીએસટી ચૂકવવો પડશે. ગાબાવાલાએ જણાવ્યું હતું કે જો કર્મચારીએ મકાન ભાડે રાખ્યું હોય અને કંપની તેનું પૂરું ભાડું ન ચૂકવે તો ભાડા પર જીએસટી નહીં લાગે.

ઉદાહરણ નંબર 3
મકાનમાલિક અને ભાડુઆત બંનેનું જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન નથી તો આ કેસમાં રેન્ટ ટેક્સનો નવો નિયમ લાગુ નહીં પડે. તાજેતરમાં ચંદીગઢમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 47મી બેઠકમાં ઘણી વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાનો અને ઘણી વસ્તુઓ પર જીએસટીના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રિપેકેજ્ડ અને લેબલવાળા અનાજ, કઠોળ અને લોટને પ્રથમ વખત જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યા છે. જો કે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, ખુલ્લામાં તેમના વેચાણ પર જીએસટી નહીં લાગે.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...