7.21.2024

નોંધાયેલ તબદીલી ખતને જો સમયમર્યાદામાં પડકારવામાં નહીં આવે તો ધરાવનારમાં અબાધિત માલિકી હક્કો નિહિત કરે છે

 નોંધાયેલ તબદીલી ખતને જો સમયમર્યાદામાં પડકારવામાં નહીં આવે તો ધરાવનારમાં અબાધિત માલિકી હક્કો નિહિત કરે છે.



જયારે કોઈ તબદીલી નોંધાયેલ દસ્તાવેજ ક કરવામાં .નોંધાયેલ દસ્તાવેજને તેની નોંધણીના ત્રણ વર્ષની મુદતમાં પડકારી શકાય. પરંતુ ઘણાં કિસ્સાઓમાં તેવા નોંધાયેલ વેચાણ દસ્તાવેજોની જાણ પક્ષકારોને થયેલ ન હોવાનું કારણ રજૂ કરી અને તેની જાણ તેઓને કઈ રીતે થઈ તેની વિગત રજૂ કરી વેચાણ દસ્તાવેજ થયાના ત્રણ વર્ષની મુદત વીતી ગયા બાદ પણ તેને રદ કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને તે અંગેના સિવિલ કોર્ટમાં દાવાઓ પણ કરવામાં આવતા હોય છે. અને તેવા દાવાઓના કામે સામા પક્ષકારો દ્વારા સિવિલ પ્રોસિજર કોડ ઓર્ડર-૭, રૂલ-૧૧ હેઠળ અરજી કરી દાવાને સમયમર્યાદાનો બાધ નડતો હોવાનું કારણ રજૂ કરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ સમયમર્યાદાના બાધના આધારે પણ દાવા અરજી સી.પી.સી. ઓર્ડર-૭, રૂલ-૧૧ હેઠળ નામંજૂર થઈ શકે છે.


તેમજ હાલના ચુકાદા થકી નામદાર હાઈકોર્ટે ઠરાવેલ છે કે, “નોંધાયેલ તબદીલી ખાતાને જો સમયમર્યાદામાં પડકારવામાં નહીં આવે તો ધરાવનારમાં અબાધિત માલિકીહક્કો નિહિત કરે છે' તેવો સિદ્ધાંત નામદાર દિલ્હી હાઈકોર્ટ(ખંડપીઠ) દ્વારા સરિતા દુઆ વિરુદ્ધ ડૉ. ગૌતમ દેવ સૂદ અને બીજાઓ, રેગ્યુલર ફર્સ્ટ અપીલ (ઓ.એસ.) નં.૨૭/૨૦૨૨ ના કામે તા.૦૪/૦૭/૨૦૨૩ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઈ શ્યૂ-૬, જૂન-૨૦૨૪, પાના નં.૫૮૬) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે. પ્રશ્નવાળી મિલકત સ્વ.ડૉ.વ્યાસ દેવ સૂદ તે પક્ષકારોના પિતા દ્વારા તેમની પત્ની સ્વ.શ્રીમતી રાજકુમારી સુદના નામે તેમના પોતાના નાણાભંડોળ/સ્ત્રોતોમાંથી તેમના પોતાના લાભાર્થે ખરીદવામાં આવી હતી, કે જેની ઉપર પાછળથી તેમના પોતાના નાણાભંડોળ/સ્ત્રોતોમાંથી બે માળના મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું. પક્ષકારોના પિતાનું સને-૨૦૦૧ માં તથા માતાનું સને-૨૦૦૪ માં અવસાન પામ્યા હતા. દાવાના વાદી યાને બહેનોએ પ્રતિવાદી યાને ભાઈઓ વિરુદ્ધ વિભાજન તેમજ હિસ્સો આપવાનો દાવો દાખલ કરેલ. તે એવું જણાવીને કે, દાવાવાળી મિલકત વાદીના પિતા દ્વારા તેમના પોતાના નાણાભંડોળનો વપરાશ કરીને માતાના નામે ખરીદવામાં આવી હતી. આવો કેસ હોઈ, ડી-જયૂરે(કાયદેસરનાં) ૧ માલિક એટલે કે પિતાથી વિરુદ્ધ માતા મિલકતની ડી-ફેકટો(હકીકતરૂપી) માલિક માત્ર હતી. કારણ કે મિલકત બેનામી હતી, પિતામાં તેમના અવસાન સુધી ડી-જયૂરે(કાયદેસરનો) માલિકીહક્ક નિહિત રહ્યો હતો અને ત્યારબાદ વારસાના કાયદા મુજબ કાનૂની વારસો ઉપર સંક્રમિત થયો હતો. પ્રતિવાદીઓના જણાવ્યા અનુસાર, પ્રશ્નવાળી મિલકતના માલિક માતા, શ્રીમતી રાજકુમારી સૂદ એ બે દીકરાઓની તરફેણમાં બે બક્ષિસ ખતો કર્યા હતા, અને તેની સંપૂર્ણ જાણ વાદીઓને હોવા છતાં તેવા બક્ષિસ ખતને સમયમર્યાદામાં પડકારવામાં આવેલ નથી. જે વાદીઓનો વિભાજનનો દાવો નામદાર ટ્રાયલ કોર્ટ દ્વારા દીવાની કાર્યરીતિ સંહિતા, ૧૯૦૮ ના ઓર્ડર ૭ રૂલ ૧૧ હેઠળ નામંજૂર કરવામાં આવેલ. જે હુકમ વિરુદ્ધ હાલની આ ફર્સ્ટ અપીલ નામદાર હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલ.

નામદાર હાઇકોર્ટે ઠરાવેલ કે, દાવાવાળી મિલકત માતાના નામે તા.૨૭/૦૪/૧૯૬૫ ના રોજના નોંધાયેલ વેચાણ દસ્તાવેજ થકી ખરીદવામાં આવી હતી. બંને માતા અને પિતા અવસાન પામ્યા છે અને સમયની કોઈપણ ક્ષણે પિતાએ તેમની હયાતી દરમિયાન તે મિલકત બેનામી હોવાનો દાવો કર્યો નહોતો. હવે વેચાણ દસ્તાવેજ કરાયાના લગભગ ૫૦ વર્ષો બાદ અપીલકર્તાઓએ વેચાણ દસ્તાવેજને બેનામી વ્યવહાર અધિનિયમ વડે અસર પામેલ તરીકે પડકારેલ છે. આવી ક્ષુલ્લક રજૂઆત કે જેને પિતા સુધી શોધી શકાય તેવા નાણાભંડોળની કોઈ વિગતો/ સ્પષ્ટીકરણો વડે સમર્થન મળેલ નથી તેમ હોઈ. પિતાની માલિકીની મિલકત હોવાની રજૂઆતને સાચી રીતે કોઈ વિગતો થકી અનુમોદન નહીં પામેલ એવી ક્ષુલ્લક રજૂઆત તરીકે નામંજૂર કરવામાં આવેલ છે.

નામદાર હાઇકોર્ટે રમતીદેવી વિ. યુનિયન ઓફ ઈન્ડિયા (૧૯૯૫(૧) સુ.કો.કે. ૧૯૮)ના કેસમાં ઠરાવેલ વરિષ્ઠ કોર્ટનો ચુકાદો ધ્યાને લીધેલ કે, અપીલકર્તા તા.૨૯/૦૧/૧૯૪૭ ના રોજ વેચાણ દસ્તાવેજ કરાયા અને નોંધાયાની હકીકત જાણતાં હતા. સમયમર્યાદા અધિનિયમ, ૧૯૬૩ની અનુસૂચિના આર્ટિકલ ૫૯ હેઠળ નિર્દિષ્ટ ત્રણ વર્ષોની સમયમર્યાદા ત્યારથી વીતવાની શરૂ થઈ હતી, કે જયારે અપીલકર્તાને દસ્તાવેજ કરવામાં આવી રહ્યાની જાણ થઈ હતી. તે કેસમાં વર્ષ ૧૯૫૯ નો અગાઉનો દાવો પરત ખેંચવામાં આવ્યો હોઈ દાવો વર્ષ ૧૯૬૬માં દાખલ કરવામાં આવ્યો હતો અને સર્વોચ્ચ અદાલત દ્વારા સમયબાધિત ઠરાવવામાં આવ્યો હતો અને રદ કરવામાં આવ્યો હતો.


વધુમાં નામદાર હાઇકોર્ટે ઠરાવેલ કે, એક પક્ષકારની તરફેણમાં કરાયેલ એક નોંધાયેલ તબદીલી ખતને જો સમયમર્યાદા અધિનિયમ, ૧૯૬૩ના આર્ટિકલ પ૯ હેઠળ નિર્દિષ્ટ કરાયેલ સમયમર્યાદાની અંદર પડકારવામાં આવે નહીં તો, તે મિલકતમાં (તે પક્ષકારના) અબાધિત માલિકીહક્કો નિહિત કરશે. વાદીઓએ ક્યારેય પણ સમયમર્યાદાની અંદર વેચાણ દસ્તાવેજની કાયદેસરતાને પડકારી નહીં હોઈ, તેઓને વેચાણ દસ્તાવેજ હેઠળ કોઈપણ અધિકારોનો દાવો કરવામાં બાધ નડે છે, કારણ કે તે (અધિકાર) સમયમર્યાદા અધિનિયમની કલમ ૨૭ ની રૂએ નાબૂદ થવા પામે છે. એકવખત વેચાણ દસ્તાવેજ પડકારી શકાય નહીં તેવો બન્યો હોય અને મિલકતનું ટાઇટલ માતાની તરફેણમાં સ્પષ્ટ થયેલ હોય, દીકરીઓ/ અપીલકર્તાઓ વિભાજનના કોઈ અધિકારનો દાવો કરી શકે નહીં, તે એવી રજૂઆત કરીને કે તે મિલકત પિતાની મિલકત હતી કે જેઓ બિનવસિયતી અવસાન પામ્યા હતા. નામદાર હાઈકોર્ટે વરિષ્ઠ કોર્ટના ચુકાદાઓ પૈકી


અનિતા આનંદ વિ. ગાર્ગી કપૂર (૨૦૧૮ સુ.કો.કે. ઓનલાઈન (દિલ્હી) ૧૧૩૭૨) ના કેસમાં સહાયક બેન્ચે નોંધ્યું હતું કે, બક્ષિસખતને પડકારે નહીં ત્યાં સુધી વાદી વિભાજન મેળવવા હક્કદાર બનશે નહીં. વિભાજનની દાદ બક્ષિસખતો ગેરકાયદેસર હોવાની જાહેરાતના પરિણામરૂપી રહેશે. તે જ પ્રમાણે અન્ય ચુકાદો રમતીદેવી વિ. યુનિયન ઓફ ઇન્ડિયા(૧૯૯૫(૧) સુ.કો.કે. ૧૯૮)ના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, કાયદેસર રીતે કરવામાં આવેલ અને નોંધાવવામાં આવેલ દસ્તાવેજને કોર્ટ દ્વારા યોગ્ય ઘોષણા થકી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કથિત દસ્તાવેજ કાયદેસરનો અને પક્ષકારોને બંધનકર્તા રહે છે.


ઉપરોક્ત નામદાર હાઈકોર્ટના ચુકાદા ઉપરથી કહી શકાય કે, એક નોંધાયેલ તબદીલી ખતને જો સમયમર્યાદા અધિનિયમ, ૧૯૬૩ના આર્ટિકલ ૫૯ હેઠળ નિર્દિષ્ટ કરાયેલ સમયમર્યાદાની અંદર પડકારવામાં આવે નહીં તો તે મિલકતમાં (તે પક્ષકારના) અબાધિત માલિકીહક્કો નિહિત કરશે.

(લેન્ડ લોઝ જજમેન્ટ વોલ્યુમ-૧,ઇશ્યૂ-૬, જૂન-૨૦૨૪, પાના નં.૫૮૬)

No comments:

Post a Comment

મિલકતની બક્ષિસ એટલે આપનાર માટે અને સ્વીકારનાર માટે જરૂરી માહિતી

  તમારી જમીન, તમારી મિલકત | નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ) thelaw_office@yahoo.com મિલકત તબદિલી અધિનિયમ-૧૮૮૨ માં મિલકતની બક્ષિસ અંગેના ઉચ્ચ કો...