6.13.2023

ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડની કલમ ૫૪/૫૫ની જોગવાઈઓ મુજબ બિનખેડુત વ્યક્તિ કલેક્ટરની મંજુરી સિવાય ખેતીની જમીન ધારણ કરી શકે નહિ

 

રેવન્યુ ટાઈટલ અંગેની કાયદાકીય જોેગવાઈઓની યથાર્થતા


ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અને

લોકાભિમુખ માર્ગદર્શન  -

 એચ.એસ. પટેલ IAS  (નિ.)

કલેક્ટરની કલમ-૬૩ની પરવાનગી સિવાય બિનખેડૂત ખેડૂત થઈ શકે નહીં

જાહેર આમ જનતા અને વાંચકોના વ્યાપક હિતમાં છેલ્લા બે લેખથી જમીન વ્યવસ્થાપનમાં ખેડુતના દરજ્જા અને તેને સંલગ્ન જોગવાઈઓની સમજ આપી અને તેમાં ગણોતધારો અને ખેતીની જમીનના વહિવટ-૧૯૪૮ના કાયદાની જોગવાઈઓ અને કાયદાકીય રીતે બિનખેડુત વ્યક્તિ ખેતીની જમીન ધારણ ન કરી શકે અને તેનો ભંગ કરી ખેતીની જમીન ખરીદાય / ધારણ કરે તો ગણોતધારાની કલમ-૮૪સી અને અન્ય જોગવાઈઓની સમજ આપવામાં આવેલ છે. કાયદાના જાણકારોના મનમાં એમ પણ થાય કે બંધારણમાં મુળભુત હક્કોમાં જ્યારે દરેક નાગરિકને દેશના કોઈપણ ભાગમાં કાયદેસરનો ધંધો / વ્યવસાય કરવા માટે સ્વતંત્રતા છે તો ખેતીની જમીનમાં કેમ નિયંત્રણ તેવો સ્વાભાવિક પ્રશ્ન થાય પરંતુ બંધારણની અનુસુચિમાં (Schedule) એટલે કે રાજ્યોના વિષયોની યાદીમાં 'જમીન'નો સમાવેશ થાય છે અને તે મુજબ સંબંધિત રાજ્યોનું જમીનને લગતા કાયદાઓ ઘડવાની સત્તા રાજ્યોને છે પરંતુ જમીન સુધારા અન્વયે (Land Reforms Act) આઝાદી બાદ જમીનો ઉપરના ગણોતીયા / કબજેદારોને જમીન ઉપરના હક્ક આપવા. ગણોતધારો-૧૯૪૮ અને સૌરાષ્ટ્ર ઘરઘેડ-૧૯૪૯ ઘડવામાં આવ્યો અને આ કાયદાને ભારતના રાષ્ટ્રપતિ એટલે કે કેન્દ્ર સરકારની અનુમતિ છે અને તે અનુસાર ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડની કલમ ૫૪/૫૫ની જોગવાઈઓ મુજબ બિનખેડુત વ્યક્તિ કલેક્ટરની મંજુરી સિવાય ખેતીની જમીન ધારણ કરી શકે નહિ, આમ જેમ જણાવ્યુ તેમ ભારતના બંધારણનો મિલક્ત ધરાવવાનો હક્ક કે દેશમાં કોઈપણ જગ્યાએ વ્યવસાય કરવાનો ખેતી કરવા કે જમીન ધારણ કરવા ઉપર ખેડુત સિવાયના વ્યક્તિને નિયંત્રણ છે અને તે અનુસાર કાયદાકીય પીઠબળ છે.

ઉપર્યુક્ત પાયાની કાયદાકીય જોગવાઈઓની સ્પષ્ટતા બાદ ગણોતધારાની કલમ-૬૩ની જોગવાઈઓ અનુસાર 'આ અધિનિયમમાં ઠરાવ્યું હોય તે સિવાય ખેડુત ન હોય તેવી વ્યક્તિની તરફેણમાં કોઈપણ જમીન અથવા તેમાંના હિત સંબંધમાં કોઈપણ વેચાણ (દીવાની કોર્ટના હુકમનામાની બજવણીમાં અથવા જમીન મહેસુલ બાકી વસુલ કરવા માટે અથવા જમીન મહેસુલ બાકી તરીકે વસુલ કરી શકાય તેવી રકમો માટેના વેચાણ સહિત) બક્ષીસ, વિનિયમ અથવા પટ્ટો અથવા જેમાં ગીરો મુકેલ મિલ્કતનો કબજો ગીરો રાખનારને સોપ્યો હોય તેવી કોઈ જમીન અથવા તેમાંના હિત સંબંધનો ગીરો કાયદેસર ગણાશે નહિ. પરંતુ કલેક્ટર અથવા રાજ્ય સરકારે આ અર્થેે અધિકૃત કરેલો કોઈ અધિકારી ઠરાવવામાં આવે તેવી શરતોએ, વેચાણ, બક્ષીસ, વિનિમય, પટ્ટો, ગીરો માટે પરવાનગી આપી શકશે. પરંતુ આવી વ્યક્તિની તમામ આવકના સાધનોમાંથી વાષિક આવક રૂ. ૫૦૦૦/- થી વધુ હોવી જોઈએ નહિ આવી જ રીતે સમાન પ્રકારની જોગવાઈ સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમની (૧૯૪૯) કલમ-૫૪માં જોગવાઈ કરેલ છે.'

ઉપરોક્ત અક્ષરંસઃ કાયદાની જોગવાઈઓ મુજબ સ્પષ્ટ થાય છે કે કોઈપણ બિનખેડુત વ્યક્તિ ખેતીની જમીન કલેક્ટરની પરવાનગી સિવાય ધારણ કરી શકતો નથી, અગાઉના લેખમાં આધાર પુરાવા સહિત જણાવવામાં આવ્યુ છે કે - વીલ યાને વસીયતનામાથી પણ સુપ્રિમકોર્ટે ઠરાવ્યા મુજબ બિન ખેડુત વ્યક્તિ ખેતીની જમીન વારસાઈના ધોરણે પણ ધારણ કરવા માટે લાયક નથી આમ સમગ્રતયા જોઈએ તો આટલી ચોક્કસ અને સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં, મહેસુલી નોંધ પ્રમાણિત અધિકારીઓ બિન ખેડુતની તરફેણમાં હક્કપત્રકની નોંધો શા માટે મંજુર કરવામાં આવે છે, જ્યારે કાયદાની જોગવાઈઓ નિષ્ફળ બનાવવા માટે બિન ખેડુત વ્યક્તિઓ સામાન્ય ખેડુતોની જમીન સસ્તાભાવે છીનવીને નફાકીય સાધનનું માધ્યમ બનાવે, અને એકવાર ખેતી જમીનની નોંધ પ્રમાણિત કરવામાં આવે, ત્યારબાદ સબંધિત તે બિનખેડુત જુદી જુદી જગ્યાએ જમીનો ખરીદે અને તે વ્યવહારો સમયસર નોધો રીવીઝનમાં લેવામાં ન આવે. કાયદાની કલમ-૮૪સી હેઠળ રાજ્યસાત કરવામાં ન આવે અને લીમીટેશનના મુદ્દાઓ ઉપર વર્ષો સુધી લીટીગેશન ચાલે અને સરવાળે કોઈને કોઈ તબક્કે કાનુની પ્રક્રિયાનો ગેરઉપયોગ કરી કાયદાની જોગવાઈઓ નિષ્ફળ બનાવવામાં આવે, એટલે આ અંગે સરકારે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવાનું Mechanism વ્યવસ્થાતંત્ર કરવુ જોઈએ. આ બાબત આક્રમક સ્વરૂપે એટલા માટે જણાવુછે કે બીજી બાજુ સાચા -  Genuine ખેડુત ખાતેદારો છે તેમની હક્કપત્રકની અલબત વારસાઈની નોધોે સમયસર પાડવામાં આવતી નથી અને પેઢીનામાના બહાને, રેકર્ડ આધારિત ક્ષતિઓ કાઢી સાચો ખેડુત ખાતેદારો હેરાન થાય છે. 

હવે મારે જે અગત્યના વિષય ઉપર સરકારનું તેમજ સાચા ખેડુતોને ન્યાય મળે તે પરત્વે દોરવાનું છે કે ઉક્ત ગણોતધારાની કલમ-૬૩ની બિન ખેડુત વ્યક્તિઓ માટે નિયંત્રણો છે. રાજ્ય સરકારની મહેસુલ વિભાગે બિન ખેડુતની તરફેણમાં નોંધો મંજુર ન થાય તે માટે 'ખેડુત ખરાઈ પ્રમાણપત્ર' મેળવવાનું કોઈપણ કાયદાની જોગવાઈઓ વિરૂદ્ધ - ફક્ત એક પરિપત્ર / ઠરાવ કરીને મેળવવાની જોગવાઈઓ દાખલ કરી છે. અગાઉ મામલતદાર કક્ષાએ આવુ પ્રમાણપત્ર આપવામાં આવતાં અને આ પરિપત્રમાં પણ જે તે સમયે નોધ રેકર્ડ આધારે મંજુર કર્યા બાદ સંબધિત તાલુકાના મામલતદાર પાસેથી ખરાઈ મેળવી લેવાની હતી. હવે સરકારે આ ખેડુત ખરાઈ પ્રમાણપત્ર સબંધિત વિસ્તારના પ્રાન્ત અધિકારી પાસેથી 'ઓન લાઈન' મેળવવાની જોગવાઈ કરવામાં આવી છે અને આ પ્રક્રિયા એટલી Tedious પ્રકારની છે કે એજન્ટ રોક્યા સિવાય સામાન્ય ખેડુત અથવા અજાણ વ્યક્તિ કરી શકે તેમ નથી, કારણ કે જુની હક્કપત્રકની નોંધોના નંબર સાથે, હુકમી નોંધ, ત્યારબાદની નોંધ વિગેરે દર્શાવવાની છે. વધુમાં પ્રાન્ત અધિકારી દ્વારા કોઈને કોઈ કારણ રજુ કરી અરજી નામંજુર કરવામાં આવે છે અને પુર્તતા કરવાનું જણાવવામાં આવે છે. ઘણીવાર ખેતીની જમીન ઘરના વડીલ હોય તેમના નામે ચાલતી હોય પાછળથી વારસાઈ અથવા સહભાગીદારમાં નામ દાખલ કરવામાં આવેલ હોય તો પણ ૧૯૫૧થી ઉતારા રજુ કરવા જણાવવામાં આવે છે.ખેડૂત ખાતાવાહી અને રેવન્યુ ટાઈટલ અંગે આગામી લેખમાં વિવરણ કરીશું

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...