બિન વસીયત ખાતેદારોએ હયાતીમાં જ મિલ્કતનું વ્યવસ્થાપન કરવું જરૂરી - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

4.11.2022

બિન વસીયત ખાતેદારોએ હયાતીમાં જ મિલ્કતનું વ્યવસ્થાપન કરવું જરૂરી

 

બિન વસીયત ખાતેદારોએ હયાતીમાં જ મિલ્કતનું વ્યવસ્થાપન કરવું જરૂરી

- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

- ખાતેદાર બિનવસીયતી મૃત્યુ પામે ત્યારે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૨ અંગે હાઈકોર્ટનો ચુકાદાu

ગુજરાતમાં જમીન અને મિલ્કતને નિયમન કરતો મુખ્ય કાયદો જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ છે. આ કાયદાનો મુખ્ય હેતુ જમીનના વ્યવસ્થાપન સાથે જમીન મહેસૂલ વસુલ કરવાની મુખ્ય બાબત છે અને જેથી સર્વ સ્વીકૃત સિધ્ધાંત મુજબ જમીન મહેસૂલની કાર્યવાહીને Fiscal Purpose ગણવામાં આવે છે. સાથો સાથ જ્યારે જમીન ઉપરના હક્કો / માલિકી હક્ક, વિભાજીત વારસાઈ હક્ક વિગેરે બાબતો આવે ત્યારે ભારતીય વારસા અધિનિયમ, મિલ્કત તબદીલી અધિનિયમ, હિન્દુ લો વિગેરેની જોગવાઈઓ લાગુ પડે છે અને તે મુજબ કરવામાં આવે છે. સામાન્ય રીતે જમીનને લગતા વિવાદ થાય ત્યારે માલિકી હક્ક નક્કી કરી આપવાની સત્તા મહેસૂલી અધિકારીઓને નથી. તેઓને વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી (Unless Contrary Proved) હક્કપત્રકની નોંધોનાં વ્યવહારો માન્ય ગણવાના છે. બાકી માલિકી હક્ક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને છે. મહેસૂલી રેકર્ડ અદ્યતન રાખવાનો હેતુ પણ જમીન મહેસૂલ કોની પાસેથી ઉઘરાવવું તે છે. (From whom to collect Revenue) એટલે જ્યારે કોઈ હિન્દુ, મુસલમાન અથવા બૌધ્ધ કોઈ ખાતેદાર બિનવસીયતી તથા જાણીતા વારસ વગર મૃત્યુ પામે તો તે ખાતેદારનું ખાતું કલેક્ટર જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૨ અન્વયે જમીન મહેસૂલ વસુલ કરવા માટે સરકાર દાખલ કરેલ ખાતાની જમીન અન્ય કાયદાની જોગવાઈઓને આધીન વેચી શકે છે. ૧૯૫૬નો હિન્દુ વારસાઈ ધારો, હિન્દુ, બૌધ્ધ, શીખ અને જૈનોને લાગુ પડે છે. મુસલમાનોને મોહમેડન લો લાગુ પડે છે. જ્યારે પારસી અને ખ્રિસ્તીને ભારતનો વારસા અધિનિયમ-૧૯૨૫ લાગુ પડે છે.

આ જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૨ને લાગુ કરવાની બાબતમાં આજના સમયમાં તો ભાગ્યે જ કોઈ બિનવસીયતી મૃત્યુ પામતા હોય છે કેમ કે જાણીતા વારસ એટલે કે નજીકના લોહીના સબંધના વારસો હોય અથવા અત્યારે વીલ અને વસીયતનામાથી પણ બિનવારસ વ્યક્તિઓ જમીન / મિલ્કતનો નિકાલ કરે છે. પરંતુ જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૨ હેઠળની જોગવાઈ હેઠળ સુરેન્દ્રનગર જીલ્લાના લીમડી તાલુકાના ધાગ્રતીયા ગામના રે. સર્વે નં. ૧૪૧, ૨ એકર ૯ ગુંઠાની જમીન ત્રિવેદી હરિશંકર મીણાભાઈના નામે ચાલતી અને તેમના મૃત્ય બાદ તેમની દીકરીએ ઓઝા તારાબેન રણછોડભાઈએ તા.૨૭-૪-૧૯૫૧ના રોજ ઓધવજી પટેલને આ જમીન ગીરોખત કરી આપેલ અને તેની ગામ દફતરે તા.૧૩-૧૦-૧૯૮૩ના રોજ નોંધ પાડવામાં આવેલ, પરંતુ મહેસૂલી અધિકારીઓએ ત્રિવેદી હરિશંકર કાનુની વારસો મુક્યા વિના બિનવસીયતી મૃત્યુ પામ્યા છે તેવો રીપોર્ટ કરતાં કલેક્ટર સુરેન્દ્રનગરે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૨ હેઠળ હુકમ કરી કબજાના હક્કો જપ્ત કરી, જાહેર હરાજી કરવાનો હુકમ કર્યો હતો અને આ અંગે ગીરોથી ધારણ કરતા કબજેદાર ઓધવજી પટેલ દ્વારા સચિવ અપીલ મહેસૂલ વિભાગ સમક્ષ ફેર તપાસ (Revision) કરવામાં આવેલ, પરંતુ તે ગ્રાહ્ય રાખેલ ન હતી.

આ હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં કાનજી ઓધવજી પટેલ દ્વારા એસ.સી.એ. નં. ૧૦૮૪૮ / ૨૦૧૧ દાખલ કરવામાં આવેલ અને ન્યાયમૂર્તી જયંત પટેલ દ્વારા તા.૧૯-૮-૨૦૧૩ના રોજ મહત્વનો ચુકાદો આપી જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૨ અંગેનું અર્થઘટન કરી સ્પષ્ટતા કરી કે કલમ-૭૨માં કોઈપણ ખાતેદાર બિનવસીયતી મૃત્યુ પામે તો જમીન મહેસૂલ વસુલ કરવાના ભાગરૂપે બાકી રકમ માટે વસુલાતના હેતુ માટે કાર્યવાહી કરવાપાત્ર છે અને તેટલા પુરતું કાર્યક્ષેત્ર માન્ય રાખી શકાય. પરંતુ આ જમીન ઉપર ગીરો ગ્રહિતા તરીકે સવાલવાળી જમીન ઉપરના કબજો ધારણ કરવાના અધિકારને અસર થશે નહિ અને જો ગીરોથી ધારણ કરનાર જમીનના કબજેદાર જો પોતાનું હિત જાળવવા માંગતા હોય તો જમીન ઉપરનું મહેસૂલ ચૂકવવું જોઈએ. આમ નામદાર હાઈકોર્ટે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૨ હેઠળની કલેક્ટર સુરેન્દ્રનગરની કાર્યવાહીને સુધારીને એટલે કે ફેરફાર કરીને આ કલમ હેઠળ કાયદાની જોગવાઈઓનું અર્થઘટન કરીને સ્પષ્ટતા કરી કે આ જમીન ઉપર જે ગીરોથી ધારણ કરતા કબજેદાર છે તે ગીરોખતની જોગવાઈઓ પ્રમાણે જમીન મહેસૂલની બાકી વસુલાત ભરપાઈ કરે તો ચાલુ રહી શકે છે. આ હાઈકોર્ટના ચુકાદાથી એટલું સ્પષ્ટ થાય છે કે જે કોઈપણ બિનવસીયતી ખાતેદારો હોય તો તેઓની હયાતીમાં જ તેમની જમીન / મિલ્કતનું વીલ યાને વસીયતનામાથી તેમની જમીન / મિલ્કતની વ્યવસ્થા કરવી જોઈએ અથવા હયાતીમાં જ આવી જમીનોનું વેચાણ કે તબદીલ કરવી હોય તો કરવી જોઈએ કે જેથી ખાતેદાર બિનવસીયતી મૃત્યુ પામે તો ઉપર્યુક્ત પરિસ્થિતિ જે પાછળથી ઉપસ્થિત થાય તે નિવારી શકાય.


No comments:

Post a Comment

Featured post

E-Jamin Gujarat-Stamp Dyuti Calculator and more

 ⚖️📲 વકીલ અને દસ્તાવેજ લખનાર માટે ખાસ DIGITAL TOOLKIT! 🟢 E-Jamin Gujarat App – હવે દરેક દસ્તાવેજ લખતી વખતે કોઈ પણ ગણતરીમાં ભૂલ શક્ય નથી! ...