10.20.2021

જમીન તથા મકાનોને લગતા દસ્તાવેજી પુરાવાની ફાઈલ તૈયાર કરો.

 

આપણે ઘણા જ પરીશ્રમો દ્વારા જમીન તથા મકાન ઉભુ કરીએ છીએ અને હાશકારો અનુભવીએ છીએ પરંતુ આપણી પાસે સોનુ છે તેની જાણવાની બેંક લોકરમાં કરીએ છીએ. તેના કરતા વધુ કિંમતી જમીન તથા મકાનને લગતા દસ્તાવેજી પુરાવાની જાળવણી તથા પુરાવાઓ આપણે એકઠા કરી શકતા નથી અને આજની તારીખે તે પુરાવાની ફાઈલો આપણી પાસે નહિ હોય અથવા હશે તો અધુરી હશે તથા કાગળોની સાથણી પણ ન હોય તેવું બનેલ હશે.

રેકર્ડઝ ઓફ રાઈટ્સ બે રીતે વહેચાયેલ છે ગ્રામ્ય કક્ષા એ ૭X૧૨ ને અને શહેર કક્ષાએ સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ દ્વારા રેકર્ડઝ ઓફ રાઈટ્સનો હક્ક જમીન ધારક અથવા મકાન માલિકને મળે છે અને તે આધારે વારસાઈ, વેચાણ, ગીરો, લોન, જમીન દ્વારા અનેક લાભો મળે છે. આમ રેકર્ડઝ ઓફ રાઈટ્સ ઘણી જ અગત્યની બાબત છે. રેકર્ડસ ઓફ રાઈટ્સ જેટલા ચોખ્ખા હશે તેટલો જ વધુ ફાયદો થાય છે. જેમ કે

  1. વારસાઈમાં ઝઘડા થવાની શક્યતા ઘટે છે.
  2. વેચાણ વખતે સરકારી કચેરીઓના ધક્કોનો સમય બગડતો નથી.
  3. જમીન તથા મકાનની વેચાણ કિંમત વધુ મેળવી શકાય છે.
  4. જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે લોન સરળતાથી મેળવી શકાય છે.
  5. જામીન થવાનું હોય તો સરળતાથી જામીન થઇ શકાય છે.
  6. વીલ તથા જમીન અને મકાન બાબતે કરારો કરવાના હોય ત્યારે સરળતાથી કરી શકાય છે.
  7. સરકારી કચેરીમાં રેકર્ડઝ ખોવાઈ ગયેલ હોય તથા સળગી જાય ત્યારે આ રેકર્ડઝ ફાઈલ ઘણી જ અગત્યની પુરવાર થાય છે અને તમારા રેકર્ડઝ મુજબ નવેસરથી રેકર્ડઝ ઉપસ્થિત કરી શકાય છે.
  8. તમારી મિલકતની વહેંચણી પણ સરળતાથી કરી શકાય છે.

આમ ઉપરોકત મુજબ જો તમે જમીન/મિલકત ધરાવતા હોય અને ૭X૧૨ પ્રોપર્ટી કાર્ડમાં નામ ચાલતું હોય અને રેકર્ડઝ ઓફ રાઈટ્સ ભોગવતા હોય તો નીચે મુજબ દસ્તાવેજી પુરાવા સરકારી કચેરીના સહી સિક્કા સાથે લેમીનેશન કરાવી ફાઈલ અધતન રાખવા નીચે મુજબના પુરાવા એકત્ર જે તે કચેરીમાંથી એકત્ર કરો અને ફાઈલ તૈયાર કરો.

  1. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરના ટીપ્પણ.
  2. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરના નકશાની નકલ અથવા તે ગામનો આખો નકશો.
  3. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરની પ્રતિબુક.
  4. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરનો આકરબંધ/કાયમ ખરડાની નકલ.
  5. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરની માપણીની નકલો.
  6. તમારા સર્વે નંબરોની પાંચ વર્ષે એક વખત માપણી કરાવી હિતાવહ છે. જેથી કોઈએ દબાણ કરેલ હોય તે સ્પષ્ટ ખ્યાલ આવી જાય.
  7. માપણીની નકલ મેળવો ત્યારે હિસ્સા ફોર્મ નં.૪ મેળવી લેવું.
  8. જયારે ભાગલા પાડો ત્યારે ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ કચેરી દ્વારા વહેંચણી કરાર મુજબ માપણી કરાવી, નમૂના નં.૧૧-અ મેળવી લો અને મામલતદાર કચેરી દ્વારા ૭X૧૨ અલગ કરાવી લેવા હિતાવહ છે.
  9. કલેકટર કચેરી દ્વારા મામલતદાર કચેરીમાંથી ૭X૧૨, ૮-અ, નંબર-૬ ણી નકલ દર વર્ષે મેળવી ફાઈલે રાખવી હિતાવહ છે.
  10. એકત્રિકરણ થયેલ હોય તો બ્લોક નંબરની માપણી, ચિરાયેલા સર્વે નંબરમાંથી બનેલ બ્લોક માપણી/એકત્રીકરણની તકતાની નકલ/રીવાઇઝ્ડ એકત્રિકરણ તખ્તાની નકલ.
  11. રી-સર્વે થયેલ હોય તો રી-સર્વે નંબરના આજુબાજુ નંબરના નકશાની નકલ/ખેતારવાર પત્રકની નકલ મેળવી લેવી.
  12. ટી.પી.સ્કીમ દાખલ થયેલ હોય અને ફાઈનલ પ્લોટ પડેલ હોય તો તેની માપણી શીટ તથા આજુબાજુના માપણી શીટની નકલ/એફ-ફોર્મની નકલ/નકશાની નકલ મેળવી લેવી.
  13. ટી.પી.સ્કીમ દાખલ થતી હોય ત્યારે આખી ટી.પી.સ્કીમની માપણી થતી હોય ત્યારે તમારી જમીન તથા મકાનની માપણીમાં ચોક્કસાઈ રાખવી. જેથી રોડ-રસ્તા તથા રીઝર્વેશન બાબતે ખાસ ધ્યાન રાખવું તે અંગે રેકર્ડઝ મેળવવા.
  14. સોસાયટી બિનખેતી થઇ ગયેલ હોય ત્યારે પ્લાન મુજબ બિનખેતી દુરસ્તી કરાવી ૭*૧૨ માં તમામ સભ્યોના નામ દાખલ થાય તેવી કાળજી રાખવી અને તે ફાઇલ અધતન રાખવી.
  15. જમીન તથા મકાનના ક્ષેત્રફળ તથા હદ બાબતે વધુ ચોક્કસાઈ રાખવી તથા પુરાવા ફાઈલે રાખવી.
  16. જમીનના ખેતર ઉપર હદનિશાન જે હોય તે કાયમ રાખવા તથા ચકાસણી વખતોવખત કરાવી હદનિશાન ન હોય તો માપણી કરી હદનિશાન કરાવી કાયમી હદનિશાન ઉભા કરવા.
  17. તમારી જમીન રોડ, કેનાલ સંપાદન થતી હોય ત્યારે તેના નકશા મેળવી લેવા અને તે મુજબ માપણી કરાવી સંપાદન ક્ષેત્રફળ બરાબર છે કે કેમ તે ચકાસી રેકર્ડઝ ફાઈલે રાખવા.
  18. સંપાદન થયા બાદ ડિ.ઈ.લે.રે. રેકર્ડ પર દુરસ્તી કરાવી લેવી નહીતર તેનું મહેસૂલ તમારે ભરવાનું થશે.
  19. સોસાયટીમાં રહેતા હોય તો શેર સર્ટીફીકેટ / સભ્ય દાખલો / એલોટમેન્ટ લેટર/કોર્પોરેશન-ઔડા પ્લાન પાસ / રાજા ચિઠ્ઠી / બી.યુ. પરમીશન / રજીસ્ટ્રેશનનો દાખલો / સોસાયટી બંધારણ.
  20. યુ.એલ.સી. ના હુકમો.
  21. ૨૭X૧૨ હોય તો સને ૧૯૫૦ થી આજદિન સુધીના ઉતારા મેળવી લેવા.
  22. સીટી સર્વે લાગતું હોય ત્યાં જે તે કચેરીમાંથી તમારા સીટી સર્વે નંબરોની એસ.આઈ. કેસની નકલ ફાઇલ ખાસ રાખવી. તેમાં પણ દર વર્ષે ઉપર જણાવ્યા મુજબની કાર્યવાહીઓ કરવી.
  23. ખાસ એડવાઈઝ આપવાની કે સીટી સર્વે દાખલ થતાં જે તે સીટી સર્વે નંબરની સનંદ આપવામાં આવે છે તે સનંદ જે તે મિલકત ધારણ કરનાર કર્મચારીને આપવામાં આવે છે ત્યારે ધક્કા ખવડાવે છે તથા ઉદ્ધતાઇભર્યા જવાબો આપવામાં આવે છે. જે વ્યવહાર બદલી આ સનંદો તાત્કાલિક લેવી હિતાવહ છે. આ સનંદ ફક્ત એક જ વખત આપવામાં આવે છે. તે સનંદની લેમીનેશન કરાવવી વધુ હિતાવહ છે તે સનંદ લઇ તમારી મિલકતની ચકાસણી પણ કરી લેવી તેમાં સુભારા કરવા પાત્ર હોય તો આગળની કાર્યવાહી કરવી હિતાવહ છે.
લેખક : દિનેશ પટેલ, રેવન્યુ પ્રેક્ટીસ

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...